સવારના નાસ્તામાં સામેલ કરો સોજી, જાણો 5 ઝટપટ બનતી રેસિપીઝ અને તેના ફાયદા
સવારનો નાસ્તો દિવસનો સૌથી મહત્વનો ખોરાક માનવામાં આવે છે. જો સવારનો નાસ્તો પૌષ્ટિક અને સંતુલિત હોય, તો શરીરને આખો દિવસ કામ કરવા માટે જરૂરી ઉર્જા (એનર્જી) મળી રહે છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો અવારનવાર એવા વિકલ્પો શોધતા હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે ઝડપથી તૈયાર પણ થઈ જાય. આવી સ્થિતિમાં ‘સોજી’ એક ઉત્તમ સામગ્રી છે, જેનાથી ખૂબ જ ઓછા સમયમાં અનેક પ્રકારના હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા બનાવી શકાય છે.
- સોજીમાં રહેલા પોષક તત્વો
સોજીમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સની સાથે ઓછી માત્રામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ફોલેટ અને વિટામિન-બી ગ્રૂપના કેટલાક તત્વો જોવા મળે છે. સંતુલિત માત્રામાં તેનું સેવન કરવાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે અને તે હેલ્ધી ડાયટનો એક મહત્વનો ભાગ બની શકે છે.
- સોજી ઉપમા:
સૌ પ્રથમ સોજીને હળવી શેકી લો. એક પેનમાં રાઈ, મીઠો લીમડો, લીલા મરચાં, ડુંગળી અને તમારી પસંદગીના શાકભાજી સાંતળો. ત્યારબાદ તેમાં પાણી અને શેકેલી સોજી ઉમેરીને બરાબર પકવી લો. આ નાસ્તો ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને શાકભાજીના વિટામિન્સનું ઉત્તમ મિશ્રણ છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
-
સોજીના ચીલા:
સોજીમાં દહીં, થોડું પાણી, છીણેલું ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને લીલા ધાણા મિક્સ કરીને ખીરું (બેટર) તૈયાર કરો. આ ખીરાને તવા પર સહેજ તેલ લગાવીને બંને બાજુથી સરસ શેકી લો. આ એક ઝટપટ બનતો નાસ્તો છે, જેમાં શાકભાજીના કારણે તમામ જરૂરી પોષક તત્વો મળી રહે છે.
- સોજીની ઈડલી:
સોજીમાં દહીં અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. તેમાં ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરીને ઈડલીના સ્ટેન્ડમાં વરાળથી (સ્ટીમ કરીને) પકવી લો. તેને નાળિયેરની ચટણી કે સાંભાર સાથે ગરમાગરમ પીરસો. આ હલકો અને પચવામાં એકદમ સરળ નાસ્તો છે.
- સોજી ઉત્તપમ:
સોજી, દહીં અને પાણી મિક્સ કરીને ખીરું બનાવો. આ ખીરાને તવા પર ફેલાવી ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને લીલા ધાણા ઉમેરીને બંને બાજુથી ચડવા દો. આ સ્વાદિષ્ટ નાસ્તામાંથી ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે.
-
વેજ સોજી ઢોકળા:
સોજી, દહીં અને પાણીનું મિશ્રણ તૈયાર કરો. તેમાં છીણેલું ગાજર, કેપ્સિકમ અને ઈનો ઉમેરીને થાળીમાં વરાળથી પકવી લો. ઢોકળા તૈયાર થઈ જાય એટલે ઉપરથી રાઈ અને મીઠા લીમડાનો વઘાર કરો. ઓછા તેલમાં બનતી આ એક પૌષ્ટિક વાનગી છે.
- ડાયટમાં સોજી સામેલ કરવાના મુખ્ય ફાયદા
નિયમિત ડાયટમાં સંતુલિત માત્રામાં સોજીનો ઉપયોગ કરવાથી શરીરને પૂરતી એનર્જી મળે છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ રોજિંદા કાર્યો માટે શરીરને સક્રિય રાખે છે. જો સોજીની વાનગીઓમાં ભરપૂર શાકભાજી, દહીં, પનીર, ફણગાવેલા કઠોળ કે દાળ ઉમેરવામાં આવે, તો તે એક સંપૂર્ણ અને સંતુલિત આહાર બની જાય છે.
- સોજીની વાનગીઓ બનાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
હળવી શેકી લો: સોજીનો ઉપયોગ કરતા પહેલા તેને સહેજ શેકી લેવાથી વાનગીનો સ્વાદ અને ટેક્સચર (બનાવટ) ખૂબ જ સરસ બને છે.
તેલ-મીઠાનો મર્યાદિત ઉપયોગ: સોજીનો નાસ્તો બનાવતી વખતે વધુ પડતું તેલ, ઘી કે નમક (મીઠું) નાખવાનું ટાળો અને વધુમાં વધુ તાજા શાકભાજીનો પ્રયોગ કરો.
ગુણવત્તા અને સંગ્રહ: હંમેશા સારી બ્રાન્ડ કે સારી ગુણવત્તાવાળી સોજી ખરીદો અને તેને ભેજ વગરની સૂકી જગ્યાએ એર-ટાઈટ ડબ્બામાં સ્ટોર કરો. જો સોજીમાં ભેજ, દુર્ગંધ કે જીવાત દેખાય તો તેનો ઉપયોગ બિલકુલ ન કરવો.


