![કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહજી જાડેજાની તિલક વિધી યોજાઈ](https://www.revoi.in/wp-content/uploads/2021/06/12345.gif)
ભુજઃ કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહ જાડેજાની પરંપરા અનુસાર તિલક વિધી યોજાઈ હતી. ભુજના શરદબાગ પેલેસમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પરિવારના ધરમશીભાઈના હસ્તે તિલક વિધી યોજાઈ હતી. કોરોના મહામારીને પગલે આ વિધી સરકારીની ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવી હતી.
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું તાજેતરમાં નિધન થયું હતું. ત્યાર બાદ રાજ પરંપરા ચાલુ રાખવાની અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ માંગણી કરી હતી. દરમિયાન મદનસિંહજીના નાના પુત્ર હનવંતસિંહજીને રાજ પરિવારના મોભી તરીકે તિલક વિધિ કરાઈ હતી. તિલકવિધી પછી માતાજીના મઢના જાગીરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હનવંતસિંહજીને રાજ પરિવારની પાધડી પહેરાવ્યા બાદ પૂજન વિધી કરવામાં આવી હતી. એટલું જ નહીં તેમને મોતી જડિત તલવાર અર્પણ કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે સાદગીથી યોજાયેલા તિલકવિધીમાં હનવંતનસિંહજીના પત્ની રોહિણીદેવી, પુત્ર પ્રતાપસિંહ, રાજ પરિવારના અનિરુદ્ધસિંહ, મેઘદીપસિંહ, ત્રિશુલીનીકુમારી, શાલીનીકુમારી, રઘુરાજસિંહ, દેવેન્દ્રસિંહ, માધવીબા ઉપરાંત ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
રાજવી હનવંતસિંહ પરિવારના જણાવ્યા અનુસાર ભારત સરકારના ગૃહ વિભાગના તા 6 સપ્ટેમ્બર 1970ના આદેશ અનુસાર કચ્છના મહારાવ મદનસિંહજીના તમામ ખિતાવો સમાપ્ત થયાં હતા. એટલું જ નહીં સરકારે કોઈ પણ મહારાવની પદવી એનાયત કરી નથી. જેથી કચ્છના અંતિમ મહારાવ મદનસિંહજી હતા. જો કે, 1991માં તેમના નિધન બાદ તેમના જયેષ્ઠ પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રાગમલજી ત્રીજાને રાજ પરિવારની ગાદી ઉપર મોભી તરીકેની પાઘડી પહેરાવી હતી. જો કે, તાજેતરમાં જ તેમનું નિધન થતા મદનસિંહજીના નાના પુત્ર હનવંતસિંહજીને રાજ પરિવારના મોભી તરીકે વિધિ કરાઈ હતી.