- શું પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરામાં આવશે
- જીએસટી કાઉન્સિલે આ મામલો પાછળ ઠેલવ્યો
- જીએસટીના દાયરામાં આવવાથી પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે
નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, ગેસ સિલિન્ડર, ખાદ્યપદાર્થોની આસમાને પહોંચેલી કિંમતે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે હવે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર મળી શકે છે. આ વચ્ચે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવવામાં આવે તો તેની કિંમત એક જ ઝાટકે 20-25 રૂપિયા ઘટવાની સંભાવના છે.
પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવવાના મામલાને જીએસટી કાઉન્સિલે ટાળી દીધો છે. આ અંગે જીએસટી કાઉન્સિલે એવો તર્ક આપ્યો છે કે હજુ પણ કોરોનો રોગચાળો છે. તેથી આગામી દિવસોમાં આવક ઘટે તેવી સંભાવના છે.
એક રિપોર્ટ અનુસાર, જો પેટ્રોલ-ડીઝલને જીએસટી કાઉન્સિલ જીએસટીના દાયરા હેઠળ લાવે તો પેટ્રોલ અંદાજે 20-25 રૂપિયા તેમજ ડીઝલ અંદાજે 20 રૂપિયા સસ્તું થઇ શકે છે. જો કે જીએસટી દાયરા હેઠળ બાદ રાજ્ય સરકારને નુકસાન વેઠવા તૈયાર રહેવું પડશે. કોઇ રાજ્ય તેનું નુકસાન ઉઠાવવા માંગતુ ના હોવાથી પેટ્રોલ-ડીઝલને જીએસટી દાયરા હેઠળ લાવવામાં સતત વિલંબ થઇ રહ્યો છે.
જો તેને જીએસટી હેઠળ લવાય તો તેનાથી કેન્દ્ર સરકારને પણ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. જે જીડીપીના 0.4 ટકા જેટલું છે. પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીને કારણે તેની કિંમતમાં વધારો થતો રહે છે.