પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો: તપાસ માટે સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી
- પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો
- સુપ્રીમ કોર્ટે તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવી
- આ કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે
નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે સુરક્ષામાં ચૂક કેવી રીતે થઇ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. ચાર સભ્યોની બનેલી કમિટી પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ કરશે. આપને જણાવી દઇએ કે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને હીમા કોહલીની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જે કમિટીની જાહેરાત કરી છે તેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા કરશે. આ કમિટીમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા ઉપરાંત ડીજી (કે નોમિની) NIA, ચંદીગઢના ડીજી અને પંજાબના ADGP (સુરક્ષા) સામેલ હશે. બીજી તરફ સુપ્રીમે અન્ય તમામ તપાસ કમિટીઓ પર રોક લગાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ જેમ બને તેમ જલદી મામલા સંલગ્ન બદા રેકોર્ડ કમિટીના ચેરપર્સન ઈન્દુ મલ્હોત્રાને સોંપી દે. આ સાથે જ કોર્ટે કમિટીને કહ્યું કે આ મામલાનો રિપોર્ટ જલદી તૈયાર કરવામાં આવે.