
ભૂજઃ કચ્છ જિલ્લાના પેટાળમાં વારંવાર હવનચલન થતું હોવાથી અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. વર્ષ 2001 માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે. મહિનામાં 3 થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. થોડા સમય પહેલા જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા કચ્છમાં 35 જેટલી જગ્યાઓ પર સંશોધન અર્થે હાઈ પાવર જીપીએસ એન્ટેના મૂકવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં અવાર નવાર આવતા ભૂકંપના આંચકાનો અભ્યાસ કરવા માટે અંજાર, આદિપુર, ભુજ, નાગલપર સહિત કુલ 35 જેટલી જગ્યાઓ પર આ હાઈ પાવર જીપીએસ એન્ટેના બેસાડવામાં આવ્યા છે, જે દરેક મિનિટે તે ભૂમિમાં થતી હલનચલનને નોંધી તેની માહિતી આપે છે. આ જીપીએસ મોબાઈલ અને અન્ય ઉપકરણો આવતા જીપીએસ કરતા અનેક ઘણો તાકાતવર છે અને 0.1 મિલીમિટરના કંપન પર પણ નોંધ કરે છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ આવું જ એક જીપીએસ એન્ટેના લગાડવામાં આવ્યું છે. ત્યારે આ ઉપકરણ મુદ્દે જણાવતા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના હેડ ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું કે આ ઉપકરણ દર મિનિટે તે જમીનમાં થતી હલચલને નોંધે છે. આવી હજારો નોંધણી વર્ષના અંતે ભેગી કરી તેનો સરવાળો કરવામાં આવે છે. જેથી ખબર પડે છે કે એક વર્ષમાં તે જમીન પોતાની મૂળ જગ્યાથી કેટલી ખસી છે. 2001 બાદ તંત્ર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા ભૂકંપને લઈને અનેક સાવચેતી વર્તવામાં આવી રહી છે. ભચાઉ તાલુકાના વામકા ખાતે એક ખાસ ભૂકંપ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું, જે 24 કલાક કચ્છની ધરતીમાં ધ્રુજારી અંગે નોંધ લે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છની જમીનના પેટાળમાં પ્લેટો વચ્ચેની ધ્રુજારી અટકાવી શકીએ નહીં, પરંતુ ભૂકંપથી થતી નુકસાની અટકાવી શકાય છે, જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. વર્ષ 2001માં ભૂકંપ આવ્યા બાદ કચ્છમાં કંપનનો દોર યથાવત રહેતા વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચના અપાઈ હતી. કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. તે મુજબ કચ્છમાં આવેલી 4 ફોલ્ટલાઈન પર કેટલો દબાણ પેદા થાય છે અને તે પ્રમાણે ફોલ્ટલાઈન પર આવેલી પ્લેટને નુકસાન થઈ શકે છે તે મુદ્દે સંશોધન કરાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના પેટાળમાં ફોલ્ટલાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા 8 પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યા હતા, જેનું સમાપન આ વર્ષે થયું છે. ખાસ તો કઈ ફોલ્ટલાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કરાયો હતો. ભૂકંપ અંગે છેલ્લા 6 વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે. વાગડ વિસ્તારમાં જ્યાંથી ફોલ્ટલાઈન પસાર થાય છે તે ફોલ્ટલાઈન આપણે બંધ કરી શકીએ નહિ. કારણ કે, આ કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકીએ તેમ છે. મોટે ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001 ના ધરતીકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જે-તે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી, જેની નુકસાની આજે પણ યથાવત રહેતા આ વિસ્તારમાં આંચકા આવતા હોય છે. આ નુકસાની હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી તેમજ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી લાંબુ ભંગાણ થયું છે, જેથી ભૂકંપના નવા આંચકા આ વિસ્તારમાં નોંધાવા સામાન્ય બાબત છે.