માત્ર ખોટો આદેશ આપવા બદલ ન્યાયાધીશને બરતરફ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાને સુરક્ષિત રાખતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જામીન અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત ‘બેવડા માપદંડ’ અપનાવવા બદલ બરતરફ કરાયેલા જિલ્લા ન્યાયાધીશની અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની બરતરફીનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ન્યાયાધીશથી કથિત રીતે ભૂલભરેલો કે ત્રુટિપૂર્ણ આદેશ અપાયો હોય, તો માત્ર એ જ આધાર પર તેમની સામે શિસ્તભંગના પગલાં ભરી શકાય નહીં.
ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચે નિર્ભય સિંહ સુલિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ ચુકાદો આપ્યો હતો. વર્ષ 2014માં જ્યારે સુલિયા વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમના પર આબકારી અધિનિયમ હેઠળની જામીન અરજીઓમાં ભ્રષ્ટાચાર અને અલગ-અલગ માપદંડ રાખવાના આરોપો લાગ્યા હતા, જેના આધારે તેમને સેવામાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
બેન્ચે નોંધ્યું હતું કે ન્યાયાધીશના નિર્ણયો કાયદાકીય સમજ મુજબ અલગ હોઈ શકે છે. જો કોઈ આદેશમાં ભૂલ હોય તો તેને ઉપલી અદાલતમાં પડકારી શકાય છે, પરંતુ તેના માટે ન્યાયાધીશની કારકિર્દી ખતમ કરી શકાય નહીં.


