સામંથાનો ટ્રોલ્સને જવાબ: જેમ ઘર સાફ રાખું છું, તેમ સોશિયલ મીડિયા પેજ પરથી નેગેટિવિટીને બ્લોક કરું છું
હૈદરાબાદ, 23 ફેબ્રુઆરી 2026: સાઉથ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલમાં પોતાની આગામી તેલુગુ ફિલ્મ ‘માં ઈન્ટી બંગારામ’ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલા અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે એક ‘આસ્ક મી એનીથિંગ’ સેશન યોજ્યું હતું. આ સેશનમાં સામંથાએ પોતાની પર્સનલ લાઈફ, સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અંગે મન મૂકીને જવાબો આપ્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે તે સોશિયલ મીડિયા પર આવતી પોઝિટિવ અને નેગેટિવ કોમેન્ટ્સને કેવી રીતે હેન્ડલ કરે છે, ત્યારે સામંથાએ ખૂબ જ સચોટ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, “મને ન તો કોઈની વધુ પડતી પ્રશંસા પ્રભાવિત કરે છે, ન તો ટ્રોલિંગ. પરંતુ જો કોઈ વ્યક્તિ મારી પર્સનલ ડિજિટલ સ્પેસમાં નકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કરે, તો હું તેને તરત જ બ્લોક કરી દઉં છું.” તેણે વધુમાં ઉમેર્યું કે, “જેમ હું મારા ઘરને સાફ-સૂથરું રાખું છું, તેમ મને મારું સોશિયલ મીડિયા પેજ પણ સ્વચ્છ રાખવું ગમે છે. કોઈને બ્લોક કરવાનો અર્થ એ નથી કે હું તેનાથી પ્રભાવિત થઈ છું, પરંતુ તેનો અર્થ એ છે કે હું નકારાત્મકતાને મારા જીવનમાં સ્થાન આપવા માંગતી નથી.”
સેશન દરમિયાન એક ફેને તેને સતત ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવાની આદત એટલે કે ‘ડૂમસ્ક્રોલિંગ’ થી બચવાનો ઉપાય પૂછ્યો હતો. આ અંગે સામંથાએ કબૂલાત કરી હતી કે, “બાળપણમાં હું ટાઈમ ટેબલ બનાવીને ભણતી હતી ત્યારે મારું ધ્યાન ભટકતું નહોતું, પરંતુ હવે તે ફોકસ જાળવી રાખવું મુશ્કેલ લાગે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સને કારણે જે ‘ફિયર ઓફ મિસિંગ આઉટ’ (FOMO) પેદા થાય છે તે ખૂબ જ તીવ્ર હોય છે.”
આ વ્યસનથી બચવા માટે સામંથાએ પોતાની ટિપ્સ શેર કરતા કહ્યું કે, તે ઘણીવાર જાણીજોઈને પોતાનું ઇન્સ્ટાગ્રામ લોક કરી દે છે અને તે સમય દરમિયાન પુસ્તકો વાંચે છે અથવા એક-એક કલાકના લાંબા પોડકાસ્ટ સાંભળે છે. તે જાણીજોઈને ‘બોરિયત’ (Boredom)નો સ્વીકાર કરે છે જેથી તે રીલ્સની આભાસી દુનિયામાંથી બહાર આવી શકે.


