પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વર્ષભર પર્યટનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો
ઉત્તરાખંડ, 14 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વર્ષભર પર્યટનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. દેહરાદૂનમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં મોદીએ કહ્યું કે રાજ્યના અર્થતંત્ર માટે 12 મહિનાનું પર્યટન મહત્વપૂર્ણ છે. તેમણે શિયાળુ પર્યટન, શિયાળુ રમતગમત અને ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજ્યની વધતી જતી લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો.
2023માં કૈલાશ પર્વત અને ઓમ પર્વતની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે ત્યારથી, યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આનાથી સ્થાનિક રહેવાસીઓ માટે આજીવિકાની તકો ઉભી થઈ છે.
દિલ્હી-દહેરાદુન આર્થિક કોરિડોરના ફાયદાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી આતિથ્ય, પરિવહન અને અન્ય સ્થાનિક સેવાઓ સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થશે. આગામી કુંભ મેળાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડની કુદરતી સુંદરતા અને પવિત્રતાનું જતન કરવું એ પર્યટનને ટકાવી રાખવા માટે જરૂરી છે, જે રાજ્યને લાંબા ગાળાના આર્થિક લાભો લાવશે.


