હેમંત પરમાર: અરવલ્લી જીલ્લો
મોડાસા, 25 માર્ચ, 2026 – રાજ્યમાં ઈંધણના સંયમિત અને સુવ્યવસ્થિત વિતરણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તા. ૨૪ માર્ચ ૨૦૨૫ના રોજ મહત્વપૂર્ણ સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ કંપનીઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી આવશ્યક સેવાઓમાં કોઈ અવરોધ ન આવે અને ઈંધણનો યોગ્ય ઉપયોગ થાય.
પરિપત્ર અનુસાર, કૃષિ ક્ષેત્રના ખેડૂતોને ખેતીના કામ માટે જરૂરી પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળી રહે તે માટે ખાસ છૂટ આપવામાં આવી છે. હવે ખેડૂતોને વધુમાં વધુ ૨૦૦ લીટર સુધી ઈંધણ આપવામાં આવશે, પરંતુ તે માટે ખેડૂત હોવાનો પુરાવો રજૂ કરવો ફરજિયાત રહેશે. આ નિર્ણયથી ખાસ કરીને સિંચાઈ અને પાક સંભાળ માટે ખેડૂતોને મોટી રાહત મળશે.
ટેલિકોમ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. મોબાઈલ ટાવરના જનરેટર માટે અધિકૃત ટેલિકોમ કંપનીઓને વધુમાં વધુ ૧૦૦૦ લીટર સુધી ડીઝલ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીઓએ આ માટે પરચેઝ ઓર્ડર રજૂ કરવો પડશે. આ પગલાથી રાજ્યમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સતત ચાલુ રહેશે, જે આજના ડિજિટલ યુગમાં અત્યંત આવશ્યક છે.

સામાન્ય વાહનચાલકો માટે અગાઉના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. તેમને માત્ર તેમના વાહનની ટાંકીમાં જ ઈંધણ મળશે અને કેન અથવા અન્ય પાત્રમાં ઈંધણ આપવામાં આવશે નહીં. આથી કાળાબજારી અને અનાવશ્યક સંગ્રહ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
આ પરિપત્રનો લાભ ગુજરાતની જનતાને પણ સીધો મળશે. ઈંધણના યોગ્ય વિતરણથી બજારમાં સ્થિરતા રહેશે, જરૂરી સેવાઓ વિક્ષેપ વગર ચાલુ રહેશે અને સામાન્ય લોકો માટે ઈંધણની ઉપલબ્ધતા જળવાઈ રહેશે. ખાસ કરીને ખેડૂતો અને ટેલિકોમ સેવાઓને પ્રાથમિકતા મળવાથી રોજિંદા જીવન અને વ્યવસાય પર સકારાત્મક અસર પડશે.
આ પણ વાંચોઃ VIDEO: મારી દીકરીને મુસ્લિમે ફસાવી છે, મારે કેરાલા સ્ટોરી-3 નથી થવા દેવુંઃ રાજુલાના એક પિતાનો આર્તનાદ
જનતાને પણ આ વ્યવસ્થાને સફળ બનાવવા માટે સહયોગ આપવો જરૂરી છે. લોકો માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે, બિનજરૂરી સંગ્રહ ટાળે અને પેટ્રોલ પંપ પર શિસ્ત જાળવે. કોઈપણ ગેરરીતિ કે કાળાબજારી જોતા હોય તો તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ વિવિધ તેલ કંપનીઓના સ્ટેટ હેડને મોકલવામાં આવ્યો છે. જેમાં આઈ. ઓ.સી. એલ., બી.પી.સી.એલ., એચ.પી.સી.એલ., જીઓબીપી અને નાયરા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ અને સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના ક્ષેત્રમાં આ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરે.
અધિકારીઓએ જણાવ્યું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈંધણનો દુરુપયોગ અટકાવવો અને આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવી છે. જો જનતા અને સંબંધિત વિભાગો સાથે મળીને આ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો રાજ્યમાં ઈંધણ વ્યવસ્થાપન વધુ અસરકારક બની રહેશે અને કોઈપણ પ્રકારની અછત કે અવ્યવસ્થા ઉભી નહીં થાય.


