આસામમાં હિમંતા બિસ્વા સરમાનો મંગળવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
ગુવાહાટી, 11 મે 2026: આસામના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. નિયુક્ત મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આવતીકાલે (12 મે) સવારે 11 વાગ્યે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ ભવ્ય સમારોહમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે જ ગુવાહાટી પહોંચી રહ્યા છે. આવતીકાલે સવારે 11 કલાકે વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ, ખાનાપારા ખાતે શપથવિધી સમારોહ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના નેતા નીતિન નબીન અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.
શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ હિમંતા બિસ્વા સરમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “શપથ લીધા બાદ તરત જ અમે પ્રથમ કેબિનેટ બેઠક યોજીશું. અમારું મુખ્ય લક્ષ્ય ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનોને ઝડપથી અને અસરકારક રીતે લાગુ કરવાનું રહેશે.” આ કાર્યક્રમમાં ભાજપના પાયાના સ્તરના બૂથ કાર્યકર્તાઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉમટી પડશે તેવી શક્યતા છે.


