પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા શ્રી માધવ સેવા ભવન – નરોડા ખાતે વૃક્ષારોપણ
અમદાવાદ, 8 ઓગસ્ટ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા “શ્રી માધવ સેવા ભવન – નરોડા” ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના મા. પ્રાંત સંઘચાલક ડૉ. શ્રી ભરતભાઈ પટેલે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની પુજા કરી તેનું સંરક્ષણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં તુલસી, વડ, પીપળ જેવા વૃક્ષોની પુજા કરવામાં આવે છે. વૃક્ષોની વાવણી અને જતનની સાથે સાથે પાણી બચાવવા પણ પ્રયત્ન કરવો જોઈએ. જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરી તેનો બગાડ ટાળવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે જે વૈશ્વિક પર્યાવરણની ચિંતા કરી તેને સારું બનાવવા પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સહ સંયોજક શ્રી નિલેશભાઈ સોલંકી, કર્ણાવતી મહાનગર કાર્યવાહ શ્રી હાર્દિકભાઈ પરીખ, કર્ણાવતી પૂર્વ વિભાગના મા. વિભાગ સંઘચાલક શ્રી ભરતભાઈ શાહ અને શ્રી માધવ સ્મૃતિ ન્યાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હર્ષભાઈ શાહ સહિત તેમજ આસપાસના વિસ્તારના પર્યાવરણ માટે કામ કરનારા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


