જગ્ગી હત્યાકાંડ: છત્તીસગઢ હાઈકોર્ટે પૂર્વ CMના પુત્ર અમિત જોગીને આજીવન કેદની સજા ફરમાવી
રાયપુર, 6 એપ્રિલ 2026: વર્ષ 2003ના બહુચર્ચિત રામ અવતાર જગ્ગી હત્યાકાંડમાં છત્તીસગઢ હાઈકોર્ટે આજે એક મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રમેશ સિંહા અને અરવિંદ કુમાર વર્માની ખંડપીઠે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની અપીલને સ્વીકારીને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગીને નિર્દોષ જાહેર કરતા નીચલી અદાલતના ફેંસલાને પલટી નાખ્યો છે. અદાલતે અમિત જોગીને હત્યા અને ગુનાહિત કાવતરાના દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, એક જ પુરાવા અને સાક્ષીઓના આધારે અન્ય 28 આરોપીઓને સજા કરવી અને મુખ્ય કાવતરાખોર (અમિત જોગી)ને નિર્દોષ છોડી મૂકવો તે કાયદાકીય રીતે અતાર્કિક અને ખોટું છે. અદાલતે અમિત જોગીને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને કલમ 120-B (ગુનાહિત કાવતરું) હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજાની સાથે 1,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધારાની છ મહિનાની સખત કેદની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષ 2003માં રામ અવતાર જગ્ગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 31 મે 2007ના રોજ રાયપુરની સ્પેશિયલ કોર્ટે અમિત જોગીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે ચિમન સિંહ, યાહ્યા ઢેબર અને ફિરોઝ સિદ્દીકી સહિત અન્ય 28 શખ્સોને સજા સંભળાવી હતી. ટ્રાયલ કોર્ટના આ ભેદભાવભર્યા નિર્ણયને CBI અને ફરિયાદી પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ કેસની સુનાવણી ફરી ઝડપી બની હતી, જેના પરિણામે આજે અંતિમ ચુકાદો આવ્યો છે.
આ ચુકાદો ન્યાય પ્રણાલીમાં સમાનતા અને નિષ્પક્ષતાના મહત્વને રેખાંકિત કરે છે. હાઈકોર્ટે નીચલી અદાલતની એ ગંભીર ભૂલને સુધારી છે જેમાં સમાન સાક્ષીઓ હોવા છતાં મુખ્ય આરોપી બચી ગયો હતો. આ નિર્ણયથી 23 વર્ષ બાદ પીડિત પરિવારને ન્યાય મળવાની આશા ફળીભૂત થઈ છે. અમિત જોગી, જેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય છે, તેમના માટે આ ચુકાદો મોટો કાયદાકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ બ્લુ ઇકોનોમીને વેગ: ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં 106 ટકાનો અભૂતપૂર્વ વધારો


