બિહાર: મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં ભીષણ આગ, 3 દર્દીઓના મોત
પટના, 4 જૂન 2026: બિહારની અગ્રણી ખાનગી હોસ્પિટલોમાં સામેલ મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં મોડી રાત્રે એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી કેટલાક દર્દીઓની હાલત ગંભીર બની ગઈ હતી. મુઝફ્ફરપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેને અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આગની શરૂઆત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર આઈસીયુ વોર્ડ કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ધુમાડાના કારણે ત્યાં દાખલ ગંભીર દર્દીઓની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ હતી. હોસ્પિટલમાં હાજર દર્દીઓ અને તેમના પરિજનો જીવ બચાવવા માટે બહાર દોડવા લાગ્યા હતા, જ્યારે આઈસીયુમાં દાખલ અસહાય દર્દીઓને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ડઝનબંધ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટના દરમિયાન સેંકડો એમ્બ્યુલન્સ દર્દીઓને સુરક્ષિત સ્થળોએ અને નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામે લાગી હતી. ઘણા દર્દીઓની ગંભીર હાલતને જોતા તેમને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ઘટનાસ્થળે ચીસાચીસ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
-
સુરક્ષા માપદંડોના ઉલ્લંઘનનો આક્ષેપ, તપાસના આદેશ
દર્દીઓના પરિજનો પોતાના સ્વજનોની માહિતી મેળવવા માટે હોસ્પિટલ અને વહીવટી અધિકારીઓના ચક્કર લગાવી રહ્યા છે. ઘણા લોકોનો ગંભીર આક્ષેપ છે કે હોસ્પિટલ વહીવટીતંત્રે ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન કર્યું ન હતું, જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફાયર વિભાગના અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું કે સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આગના કારણે આઈસીયુમાં ગૂંગળામણને લીધે અનેક દર્દીઓ પ્રભાવિત થયા છે અને મૃતકોની સંખ્યા અંગે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બીજી તરફ, ડીએમ સુબ્રત કુમાર સેને ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે તેઓ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને અકસ્માતના સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના અધિકારીઓનું પ્રાથમિક અનુમાન છે કે આઈસીયુ વોર્ડમાં અગ્નિશામક સાધનોની અછત પણ આગ ઝડપથી ફેલાવવાનું સંભવિત કારણ હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આપને જણાવી દઈએ કે, પ્રસાદ હોસ્પિટલ ઉત્તર બિહારની એક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલ માનવામાં આવે છે, જ્યાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. આ દર્દનાક અકસ્માતે ખાનગી હોસ્પિટલોમાં અગ્નિ સુરક્ષા, ઈમરજન્સી મેનેજમેન્ટ અને સુરક્ષાના માપદંડોના પાલનને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ, પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે જ હાજર છે. કાટમાળની તપાસ અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે મોડી રાત સુધી કેટલાક દર્દીઓની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી ન હતી.


