ઉત્તરાખંડના લિપુલેખ પાસ દ્વારા ભારત-ચીન સરહદ વેપાર છ વર્ષ પછી ફરી શરૂ થશે
નવી દિલ્હી, 25 જૂન 2026: India-China border trade to resume after six years ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં લિપુલેખ પાસ દ્વારા ભારત-ચીન સરહદ વેપાર છ વર્ષ પછી ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આવતીકાલે, 26 ભારતીય વેપારીઓનો પહેલો સમૂહ તિબેટ ક્ષેત્રમાં પ્રવેશ કરશે; આ જૂથમાં 17 વેપારીઓ અને 9 સહાયકોનો સમાવેશ થાય છે.
ધારચુલાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ટ્રેડ ઓફિસર આશિષ જોશીએ જણાવ્યું હતું કે વેપારને સરળ બનાવવા માટે ગુંજી ખાતે કસ્ટમ ઓફિસ ખોલવામાં આવી છે. વેપારીઓએ પહેલાથી જ તેમનો માલ લિપુલેખ પાસ નજીક સ્થિત વેરહાઉસમાં પહોંચાડી દીધો છે.
વહીવટીતંત્રને 103થી વધુ વેપારીઓ પાસેથી અરજીઓ મળી છે અને ટૂંક સમયમાં ૨૫ વેપારીઓના બીજા જૂથને પણ વેપાર માટેના પાસ (ટ્રેડ પાસ) જારી કરવામાં આવશે. સામાનની હેરફેર માટે નાભિધાંગ નજીક ખચ્ચર અને ઘોડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત-ચીન સરહદ વેપાર 1991 માં ફરી શરૂ થયો હતો પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે 2020 માં સ્થગિત કરવામાં આવ્યો હતો. છ વર્ષ પછી વેપાર ફરી શરૂ થવાથી સરહદી પ્રદેશોના અર્થતંત્રને નવી ગતિ મળવાની અપેક્ષા છે.
વધુ વાંચો: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ વારાણસીથી પ્રથમ ‘ઇઝી કનેક્ટ’ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું


