Site icon Revoi.in

વડોદરામાં ગાજરવાડી વિસ્તારમાં મોડીરાતે 5 ફુટના મગરનું રેસ્ક્યુ કરાયું

Social Share

વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. અને ચોમાસા દરમિયાન મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે વિશ્વમિત્રી નદીમાં પૂર આવ્યું હતું. જેથી મગર દર વર્ષની જેમ નદીમાંથી બહાર આવી રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપ સ્ટેશન પાસે રાત્રિના 12 વાગે એક મગર લટાર મારતા મરતા પાસે રહેલા ઝૂંપડામાં પહોંચી જતા દોડધામ મચી ગઇ હતી. જોકે, આ બાબતનો કોલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને મળતા વન વિભાગની મદદથી મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના કહેવા મુજબ, અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યો હતો, અમે તુરંત ત્યાં પહોંચ્યા હતા. આ કોલ શહેરના ગાજરાવાળી સુએજ પમ્પ સ્ટેશન પાસેથી પસાર થતાં નાળામાંથી એક મગર પાસે રહેલા ઝૂંપડામાં આવી જતા આ કોલ મળ્યો હતો. સ્થળ પર જઈ જોતા પાંચ ફૂટનો મગર વન વિભાગની ટીમને સાથે રાખી રેસ્ક્યુ કર્યો હતો. રેસ્ક્યુ બાદ સહી સલામત રીતે મગરને પાંજરે પૂરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.