1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં એન્ટી બાયોટિકની નકલી દવાનું કૌભાંડ પકડાયું, 17 લાખનો જથ્થો સીઝ કરાયો
અમદાવાદમાં એન્ટી બાયોટિકની નકલી દવાનું કૌભાંડ પકડાયું,  17 લાખનો જથ્થો સીઝ કરાયો

અમદાવાદમાં એન્ટી બાયોટિકની નકલી દવાનું કૌભાંડ પકડાયું, 17 લાખનો જથ્થો સીઝ કરાયો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં માત્ર ખાદ્ય-ચિજ-વસ્તુઓમાં જ નહીં પણ હવે તો દવાઓ પણ નકલી બનાવીને દર્દીઓ સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે.  અમદાવાદના ખાડિયા વિસ્તારમાં નકલી એન્ટીબોયોટિક દવાનો જથ્થો વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ પાડીને જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો 17.5 લાખની કિંમતનો જથ્થો પકડી પાડ્યો હતો. બનાવટી દવાઓ વેચતા તત્વોની અટકાયત કરી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ-1 ને મળેલી બાતમી આધારે 20-10-2023ના રોજ અમદાવાદ વિભાગના ઔષધ નિરીક્ષકોએ  જે. એ. પટેલ, નાયબ કમિશનર (આઈ.બી.) અને અશ્વિન રાદડિયા, મદદનીશ કમિશનર, અમદાવાદ વિભાગ-1 ની દેખરેખ હેઠળ સફળ રેડ પાડીને અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ સોદારામ કુમ્હાર, રહે. હાઉસ નંબર 1722  બીજો માળ, વાડા પોળ, ખાડીયા, અમદાવાદ પાસે થી POSMOX CV 625 (Amoxicillin and Potassium Clavulanate with Lactic Acid Bacillus Tablet) દવાનો કુલ 99 બોક્ષ (10 x 10 ટેબલેટ) કુલ રુ. 2,61,250 નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવ્યુ છે. આ દવાઓની પ્રાથમિક તપાસમાં આ દવાઓ ના ઉત્પાદક M/s. D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું, જે બાબતે ડ્રગ કંટ્રોલર, હિમાચલ પ્રદેશ સાથે કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા પૃચ્છા કરાતા આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું હતું.

અધિકારીઓએ ખિમારામ સોદારામ કુમ્હારની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા, રહે. 20, રાજનગર સોસાયટી, વટવા, અમદાવાદ નામના વ્યકિત પાસેથી ખરીદ્યો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરાની પુછપરછ કરતા તેમણે સદર દવાનો જથ્થો વિપુલ દેગડા, રહે. જે – 402, શાકુંતલ એપાર્ટ્મેંટ, રાજધાની બંગ્લોઝની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ નામના વ્યકિત પાસેથી ખરીદ્યો હતો. તેના રહેઠાણની ભાળ મેળવી અમદાવાદના ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ કરતા વિપુલ દેગડા પાસેથી જુદી જુદી 5 (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 4,83,300  થવા જાય છે તે જપ્ત કરવામાં આવી છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓ દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ, રહે. 1, પારુલ સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ પાસેથી વગર બીલે મેળવ્યો હતો. જે બાબતે દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ દ્વારા ઇન્કાર કરતાં વધુ તપાસ ચાલુ છે.

તેમણે ઉમેર્યુ કે. વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેઓએ આ બનાવટી એન્ટીબાયોટિક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે. આથી કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યની વડી કચેરીના માર્ગદર્શન હેઠળ રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, અને રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા 10.50 લાખનો બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન, 1940ની ધારા કલમ -18 (સી) અને તે અન્વયેના નિયમો ના ભંગ બદલ આ ઇસમો સામે આગળ ની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટિક દવાઓ ડોકટરોને પહોચાડતા હતા પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશન ને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. આ દવાઓ જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code