ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં થયો વધારો, પ્રતિ કિલોના 30થી 40ના ભાવ પહોંચ્યાં
રાજકોટ: મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગીના ભાવમાં પણ વધોરો થયો છે. છુટક બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ 30થી 40 ભાવ બોલાતા ગરીબ અને મધ્યવર્ગના લોકોને મોંઘવારીમાં વધુ એક ભાવ વધારાના ડોઝ ખમવો પડ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. તેના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજીતરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાતા તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૂપિયા 30 થી 40 પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.
માત્ર રાજકોટ શહેર જ નહીં તમામ શહેરોમાં ફરીવાર ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં 10થી 15 રૂપિયા કિલો વધારો નોંધાયો છે. ડુંગળી હાલ છુટકમાં 30 થી 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના એક મણના 400થી લઈ 600 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. હાલ ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે જે ડુંગળી 20-25 રૂપિયા કિલો વેચાય છે તે હાલમાં 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.