પણજી, 18 ઓગસ્ટ 2026: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ગોવા મુલાકાતની શરૂઆત જ પાર્ટી માટે એક મોટા આંચકા સાથે થઈ. ખડગે સાથેની નિર્ધારિત બેઠક પહેલાં જ, ઓછામાં ઓછા 100 બૂથ-લેવલ એજન્ટો (BLAs) અને પાર્ટી કાર્યકરોએ રાજીનામાં આપ્યાં. આ તમામ BLAsએ મુખ્ય ચૂંટણી અધિકારીને પણ તેમના નિર્ણયની જાણ કરી દીધી છે.
વાલ્પૉઈ (ભાગ 8) માટે કોંગ્રેસના બીએલએ (BLA) એશ્લી પિન્હોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ પક્ષની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “હું બીએલએ હતો અને મેં મારા મતવિસ્તારમાંથી રાજીનામું આપ્યું છે.”
મને નથી લાગતું કે કોંગ્રેસ 2027માં સરકાર રચવા અંગે ગંભીર છે. અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને હાલમાં તો મને એ પણ ખબર નથી કે વાલપોઈમાં પક્ષના વડા કોણ છે. પિન્હોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારીઓ વાલપોઈની મુલાકાત લેવા પણ તૈયાર નથી.
બેઠકના હેતુથી અજાણ કાર્યકરો
બ્લોક સ્તરના અનેક પદાધિકારીઓએ પણ જણાવ્યું હતું કે તેમને મલ્લિકાર્જુન ખડગેની બેઠકના મુખ્ય ઉદ્દેશ્ય વિશે જાણ કરવામાં આવી ન હતી. નારાજગી વ્યક્ત કરતા એક કાર્યકરે ટિપ્પણી કરી હતી કે તેઓ કોંગ્રેસના વફાદાર સભ્યો છે અને તેમણે પક્ષ છોડ્યો નથી, તેમ છતાં સંગઠનમાં હાલમાં જે રીતે કામકાજ ચાલી રહ્યું છે તે અત્યંત નિરાશાજનક છે.
પક્ષમાં અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે, ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ડાબોલિમ એરપોર્ટથી નીકળી રહેલા ખડગેના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ગિરીશ ચોડંકરે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપે કોંગ્રેસનું મનોબળ તોડવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. ખડગેજીની મુલાકાતની જાહેરાત થઈ ત્યારથી જ ભાજપ સ્પષ્ટપણે અકળાયેલું જોવા મળ્યું છે.

