HomeAgency Newsવીરેન્દ્ર સહેવાગે રામલલાના દર્શન કર્યા, કહ્યું- એક હી નારા, એક હી નામઃ...

વીરેન્દ્ર સહેવાગે રામલલાના દર્શન કર્યા, કહ્યું- એક હી નારા, એક હી નામઃ જય શ્રીરામ

અયોધ્યા, 18 ઓગસ્ટ, 2026 – ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. અયોધ્યામાં સેહવાગે રામલલાના દર્શન કર્યા હતા અને પૂરેપૂરા શ્રદ્ધા અને ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અયોધ્યા પહોંચીને તેમણે સૌથી પહેલાં ભવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે જઈને બજરંગબલીના આશીર્વાદ મેળવ્યા હતા.

અયોધ્યામાં પગ મૂકતાની સાથે જ સેહવાગ અત્યંત ભાવુક અને ઉત્સાહિત જણાતા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આ ધાર્મિક યાત્રાની તસવીરો અને અનુભવો શેર કરતા ‘એક હી નારા, એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ’ લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. રામલલાના દર્શન કર્યા પછી તેમણે જણાવ્યું કે અયોધ્યાની આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને એક અલૌકિક શાંતિ અને અદભુત ઊર્જાનો અનુભવ થયો છે. રામ મંદિરનું નિર્માણ અને ત્યાંનું વાતાવરણ દરેક ભારતીય માટે ગૌરવ સમાન છે.

હનુમાનગઢી ખાતે પૂજારીઓએ સેહવાગનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું, જ્યાં તેમણે દેશ અને દેશવાસીઓની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દર્શન દરમિયાન તેમની એક ઝલક મેળવવા માટે સ્થાનિક લોકો અને ચાહકોની મોટી ભીડ જામી ગઈ હતી. સેહવાગે પણ ખૂબ જ નમ્રતાપૂર્વક ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું અને કેટલાક લોકો સાથે વાતચીત પણ કરી હતી.

પોતાની આક્રમક બેટિંગથી વિશ્વભરના બોલરોને ધ્રુજાવનાર આ પૂર્વ ક્રિકેટર હવે પોતાના શાંત અને આધ્યાત્મિક અંદાજ માટે જાણીતા બની રહ્યા છે. અયોધ્યામાં સેહવાગની આ ભક્તિમય ઉપસ્થિતિની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સેહવાગની આ યાત્રાએ અયોધ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને ચાહકોમાં એક નવો ઉત્સાહ ભરી દીધો છે.

સંબંધિત લેખો

Most Popular