Site icon Revoi.in

ઘાટલોડિયામાં પરિવાર પ્રસંગમાં ગયો અને ઘરમાં તસ્કરો 13 લાખ મત્તા ઉઠાવી ગયા

Social Share

અમદાવાદ, 1 ફેબ્રુઆરી 2026: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો એક પરિવાર રાજકોટ જનાઈના પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયો હતો. ત્યારે બંધ મકાનના તાળાં તોડીને તસ્કરો રૂપિયા 13 લાખના સોનાના દાગીના સહિત મત્તા ઉઠાવી ગયા હતા. પરિવાર પ્રસંગ પુરો કરીને ઘેર પરત ફર્યો ત્યારે ચોરી થયાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઘાટલોડિયામાં રહેતા સંકેત ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. ગઈ તા. 22 જાન્યુઆરી રોજ તેઓ તેમના પરિવાર સાથે રાજકોટ જનોઈના પ્રસંગમાં ગયા હતા. તેઓ જ્યારે 25 જાન્યુઆરીએ સાંજે ઘરે આવ્યા ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. સંકેતભાઈએ ઉપરના માળે જઈને ત્રણે બેડરૂમના તપાસ કરતા તેમના પિતાના બેડરૂમમાં કબાટનું ખાનુ ખુલ્લું હતું. કબાટમાંથી સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીના તસ્કરો ઉઠાવી ગયા હતા. ફરિયાદી સંકેત ઠક્કરે તપાસ કરી ત્યારે 12.70 લાખના સોનાના દાગીના અને 33,000ના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ચોર ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ ખોલીને આવ્યો હતો. ચોરીની જાણ થતા સંકેતભાઈના માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી.સંકેતભાઈએ ચોરી અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version