અષાઢી બીજ રથયાત્રાના શુભદિને ભગવાન જગન્નાથજીની કૃપાથી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં કર્મધામ ટ્રસ્ટ, હિંમતનગર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે આધુનિકતાનો ભવ્ય સમન્વય સ્પષ્ટ જણાતો હતો. શોભાયાત્રામાં પોશીના તાલુકાના ગામોથી કુલ ૮૦ ભજન મંડળીઑ પોતાના ગામના બેનર સાથે સવારે 10:00 કલાકે સ્વામિનારાયણ મંદિર પોશીનાથી ઢોલક મંજીરાના વાજિંત્રોના તાલ સાથે જય જગન્નાથના નાદ સાથે પોશીનાના રાજમાર્ગો પર ભજન ગાતા ગાતા નીકળી હતી.
વડોદરા કાયાવરોહણથી લકુલિસ ધામના સ્વામીજી પૂજ્ય પ્રીતમ મુનિજીએ સૌને આશીર્વાદ આપી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દરેક ગામની ભજન મંડળીને કર્મધામ ટ્રસ્ટ દ્વારા ઢોલક મંજીરાના 65 જોડ નિશુલ્ક અર્પણ કરવામાં આવ્યા હતા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં 400 બહેનો પણ હતા. ગામના લોકોએ ઉત્સાહ સાથે આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા ને અંતે સૌનું સામુહિક ભોજન થયું ભોજન બાદ સૌએ પોતાના ગામમાં દર અઠવાડિયે ભજન સત્સંગ કેન્દ્ર ચલાવવાનો અને આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો.