
અમદાવાદમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો યોજાશે
અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરાયું છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના મહાનુભાવો ભાગ લેશે. દરમિયાન આજે તા, 9મીને મંગળવારે સાંજના 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાશે. રોડની બન્ને સાઈડ ઊભા રહીને લોકો બન્ને મહાનુભાવોનું અભિવાદન કરશે. આ માટે 15 જેટલા સાંસ્કૃતિક ઝાંખી માટેના સ્ટેજ ઊભા કરાયા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના એક સાથે યોજાનારા રોડ શોની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. એએમસીના ભાજપના પદાધિકારીઓએ સોમવારે સાંજે એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી પગપાળા જઈને નિરીક્ષણ કર્યું હતું, રોડની બન્ને સાઈડ 15 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આજે મંગળવારે સાંજે 5 વાગ્યે એરપોર્ટથી વડાપ્રધાન મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના રોડ શોનો પ્રારંભ થશે. લોકો દ્વારા બન્ને મહાનુભાવોનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. આ રોડ શો પૂર્ણ થયાની 15 મિનિટમાં જ રૂટના તમામ રસ્તાઓની સફાઈ કામગીરી કરી દેવામાં આવશે. આ કામગીરી માટે કુલ 3 રોડ સ્વીપર મશીન, 5 છોટાહાથી, 10 કોમ્પેક્ટર પ્રકારનાં વાહનો, 1 લીટરબીન કલેક્શન વાન સહિતના વાહનો- મશીનરી ઉપયોગમાં લેવામાં આવશે. વધુમાં રોડ શોના રૂટમાં નાગરિકોની સુવિધા ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલા પાર્કિંગ પ્લોટો સહિતના કુલ 14 જેટલા લોકેશનો પર 20 જેટલા મોબાઈલ ટોયલેટો પણ મૂકવામાં આવ્યા છે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ રોડ શોના સમગ્ર રુંટ પર 400 જેટલા 80 લીટરની ક્ષમતાનાં ડસ્ટબીનો મૂકવામાં આવશે. જેથી નાગરિકોને કચરો નાખવા માટેની વ્યવસ્થા સરળતાથી મળી રહે. રોડ શોના રસ્તાઓની આદર્શ સફાઈ માટે બંને સાઈડ પર 200 જેટલાં સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે. જેઓના સુપરવિઝન માટે 10 સુપરવાઇઝરી કક્ષાના સ્ટાફને જવાબદારી સોપવામાં આવી છે. જેઓ દ્વારા રોડ શો પહેલાં, રોડ શો દરમિયાન અને રોડ શો પૂર્ણ થયા બાદ ત્વરીત સફાઈ કામગીરી કરવામાં આવશે. જે-તે સ્ટેજ અને તેની આજુબાજુની જગ્યાની સફાઈની કામગીરી સ્ટેજ સંકલનની જવાબદારી ડે.મ્યુનિસિપલ કમિશનર મારફતે કરવામાં આવી છે.