
જામનગરઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યું વિસ્તારોમાં પણ સિંહનો વસવાટ વધતો જાય છે. હવે તો સિંહ શિકારની શોધમાં જામનગર જિલ્લામાં આટાંફેરા મારી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં ખેડુતો પાકને ભૂંડ અને અન્ય પશુઓથી બચાવવા માટે વાડી-ખેતરના શેઢે બનાવેલી વાડમાં વીજળીનો કરંટ મુકતા હોય છે. ત્યારે જિલ્લાના કાલાવડના હંસથલ ગામની સીમમાં ખેડુતે પોતાના ખેતરમાં લગાવેલી વાડમાં વીજ કરંટ મુક્યો હતો. દરમિયાન એક સિંહણ આવી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. અને સિંહણનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ ખેડુતને થતાં તેણે અન્યનો સાથ મેળવીને ખાડો ખાદીને સિંહણને દફનાવી દીધી હતી. સિંહણને GPS લગાવેલી હોય વન વિભાગે લોકેશન ટ્રેક કરીને મૃતક સિંહણની ભાળ મેળવી લીધી હતી. વન વિભાગે બે શખ્સોની અટકાયત કરી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ, શેઠવડાળા અને સમાણા સહિતના ડુંગરાળ વિસ્તારમાં ગીરમાંથી એક સિંહણ આવી પહોંચી હતી. આ વિસ્તારમાં સિંહણ આવતા સ્થાનિકોએ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. જોકે, ગુરુવારે અચાનક સિંહણ ગાયબ થઇ જતાં વન વિભાગે સિંહણને લગાવેલા રેડીયો કોલરના આધારે તેનું લોકેશન ટ્રેક કરતાં સિંહણનું લોકેશન કાલાવડ આસપાસ મળ્યું હતું. વન વિભાગને સિંહણનું લોકેશન કાલાવડ આજુબાજુ મળતાં જૂનાગઢ CCF અને કાલાવડના RFO સહિતની ટીમ આ વિસ્તારમાં સિંહણને શોધવામાં કામે લાગી હતી. આ દરમિયાન કાલાવડના હંસથળ ગામ પાસે ખાણમાંથી વન વિભાગની ટીમને દુર્ગધ આવતાં ખાણમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહણનો દફનાવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણના મૃતદેહ મળતાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં સિંહણનું મોત વીજ કરંટથી થયું હોવાનો ખુલાસો થયો હતો. આથી વન વિભાગની ટીમે તપાસ કરતાં અહીં ગેરકાયદેસર લગાવેલા વીજ તારના કરંટથી સિંહણનું મોત થયું હતું અને સિંહણના મોત બાદ બે શખ્સોએ સિંહણના મૃતદેહને દફનાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. આથી વન વિભાગે શંકાના આધારે બે શખ્સોને રાઉન્ડઅપ કરીને વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. (file photo)