Homeગુજરાતીગુજરાતવલસાડ નજીક મોટી દૂર્ઘટના ટળી, રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ

વલસાડ નજીક મોટી દૂર્ઘટના ટળી, રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક અલુત રેલવે સ્ટેશન પાસે કેટલાક શખ્સોએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મુકીને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂર ઝડપે આવેલી ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર દૂર ફંગોળાઈ ગયું હતું. જેથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સિમેન્ટનું પિલર મુકરનારની શોધખોળ આરંભી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ પાસે અતુલ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સોએ રેલ્વે ટ્રેક પર સિમેન્ટનો પિલર મુક્યો હતો. આ દરમિયાન રાજધાની ટ્રેન પસાર થઈ હતી. ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર દૂર ફંગોળાઈ ગયું હતું. આમ મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને રેલવેના ચાલકે તાત્કાલિક અલુત રેલવે સ્ટેશનના માસ્ટરનો સંપર્ક કર્યો હતો. આ બનાવની જાણ થતા રેલવેના અધિકારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સુરત રેન્જ આઇ.જીએ પણ સ્થળ પર પહોંચી ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું હતું. પોલીસે FSL અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. પિલર મજબૂત અને વજનદાર હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. પોલીસ પિલર મૂકનારને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. રાજધાની જેવી VIP ટ્રેનના સમયે કયાં કારણોથી રેલવે-ટ્રેક પર પોલ મૂકવામાં આવ્યો હતો એ અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે રેલવે વિભાગ દ્વારા પાછળ આવતી ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. તેમજ તપાસ કર્યા બાદ પુનઃ રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલ આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular