Site icon Revoi.in

ભાવનગર પરામાં રેલવેનું અત્યાધુનિક સુવિધા સભર ટર્મિનસ બનાવાશે

Social Share

ભાવનગરઃ શહેરમાં મુખ્ય રેલવે ટર્મિનસ વર્ષો પહેલા બનાવેલું છે. હાલ આ રેલવે ટર્મિનસ પાસે ગીચ વિસ્તાર હોવાથી હવે નવુ ટર્મિનસ ભાવનગર પરા રેલવે સ્ટેશન પર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધૂનિક સુવિધા સભર ટર્મિનસ બનાવાશે. તેને લીધે ભાવનગર પરાથી વધુ ટ્રેનો સંચાલિત થઈ શકશે. તેનો પ્રવાસીઓને લાભ મળશે.

ભાવનગર રેલવેનું ટર્મિનસ સ્ટેશન જે તે સમયે શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવ્યુ હતુ. કાળક્રમે શહેરની વસતી વધતી ગઇ અને ટર્મિનસ એકદમ ગીચ વિસ્તાર વચ્ચે ઘેરાઇ ગયુ છે, દૈનિક ધોરણે ટ્રેનોના આવન જાવન માટે સડક ટ્રાફિક પણ પ્રભાવિત થઇ રહ્યો છે. તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને રેલવે બોર્ડ દ્વારા ભાવનગર પરા ખાતે અત્યાધુનિક સુવિધા સભર ટર્મિનલ બનાવવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રેલવે બોર્ડ સમક્ષ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ. અને શા માટે ભાવનગર પરામાં અત્યાધુનિક રેલવે ટર્મિનલ બનાવવામાં આવે તો વધુ ટ્રેનો ભાવનગરથી સંચાલિત થઇ શકે અને મુસાફરોને કેવી રીતે વધુ સવલતો આપી શકાય તેની વિગતો રજુ કરવામાં આવી હતી. રેલવે બોર્ડની નિષ્ણાંત સમિતિએ તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ ભાવનગર પરા ખાતે વધુ એક ટર્મિનલ બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે.

રેલવે બોર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભાવનગર પરા ખાતેના ટર્મિનલનું પ્રથમ તબક્કાનું કામ આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ભાવનગર પરા ખાતે ઊભું થનારૂ આ ટર્મિનલ સંપૂર્ણપણે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હશે. અહીં કુલ પાંચ પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જે ભવિષ્યમાં વધુ ટ્રેનોના સંચાલન માટે સમર્થ બની રહેશે.તમામ પ્લેટફોર્મ પર જવા-આવવા માટે મુસાફરો માટે ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટ, એસ્કેલેટરની સગવડતા પ્રથમથી જ ઉપલબ્ધ બનાવવામાં આવશે. હાલના સમયમાં ભાવનગર રેલવે સ્ટેશન પાસે માત્ર ત્રણ પિટ લાઇન ઉપલબ્ધ છે, જેમાંથી હવે વધુ એક પિટ લાઇનનો ઉમેરો થશે અને કુલ પિટ લાઇનની સંખ્યા ચાર થઇ જશે. આ પિટ લાઇન ટ્રેનોના મેન્ટેનન્સ માટે મહત્વપૂર્ણ હોય છે. પિટ લાઇન વધવાથી ટેકનિકલ કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે હાથ ધરવી શક્ય બનશે. સામાન્ય રીતે એક ટ્રેનની રેકના મેનટેનન્સ માટે 8 કલાક જેટલો સમય લાગે છે, હવે એક સાથે 4 ટ્રેનોની રેક મેનટેન થઇ શકશે.