
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે આશયથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ૧૫૧ જેટલી નવીન એસ.ટી.બસોનો ઉમેરો કરી નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા એસ.ટી નિગમને દર વર્ષે બજેટમાં નવા વાહનો ખરીદવા માટે માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી નિગમ દ્વારા દર વર્ષે પ્રજાની સેવામાં નવા વાહનો મૂકવામાં આવે છે. નવા વાહનો સંચાલનમાં મૂકાતા તેટલી સંખ્યામાં આયુમર્યાદા પૂર્ણ કરેલ બિનઉપયોગી વાહનો દૂર કરવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને 500 સુપર એક્સપ્રેસ, 300, લક્ઝરી તથા 200 સ્લીપર કોચ એમ કુલ 1000 નવા વાહન ખરીદવા રૂ. 310 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ 500 સુપર એક્સપ્રેસ વાહનો પૈકી 151 નવા સુપર એક્સપ્રેસ વાહનો હાલમાં તૈયાર થઇ ગયા છે જયારે બાકીના વાહનો તબક્કાવાર તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થયેલી બસો નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ 151 નવી સુપર એક્સપ્રેસ બસમાં બાવન મુસાફર માટે આરામદાયક સિવિધા માટે ૩x૨ હાઈબેક શીટ, ઇન-સાઈડ આકર્ષક દેખાવ માટે ACP શીટ, ગ્રેબરેલ પાઇપ અને કંડકટર પાર્ટીશન,બાહ્ય આકર્ષક દેખાવ માટે ફ્રન્ટ અને રિયરમાં FRP શો, VLT અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
તેમણે કહ્યુ હતું કે, પર્યાવરણના જતનની સાથે સાથે નાગરિકોની યાતાયાત સુવિધાઓમાં વધારો થાય તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવીન એલએનજી બસ નાગરિકોની સેવાઓમાં ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે. નિગમ દ્વારા ત્રણ ડિઝલ બસને LNG બસમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેના પરિણામે પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણનું જતન થશે.