સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ
સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. મલણપુર ગામના વતની તાવિયાડ કિશોરભાઈનો પુત્ર મયુરકુમાર જે ધોરણ-11 માં એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુર ખાતે અભ્યાસ કરે છે. શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલ દ્વારા નશાની હાલતમાં રૂમમાં બંધ કરી ધોરણ-11ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં આચાર્ય રોકાયા નહોતા અને મારવાનું ચાલુ રાખ્યું હતું.
વિદ્યાર્થીઓને આખા શરીર પર લાકડીના સોળ ઉપસી આવ્યા હતા. ધોરણ-11 માં અભ્યાસ કરતા મયુરે જણાવ્યું હતું કે, હું જ્યારે મારા ક્લાસ રૂમમાં બેઠો હતો. તે સમયે શાળાના અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતાં હતાં. મેં કશું કહ્યું નહોતું કર્યું, છતાં મને રૂમમાં બોલાવી લાકડી વડે ખૂબ માર્યો હતો. ત્યારબાદ મારા માતા શાળામાં આવીને આચાર્યને રજૂઆત કરી તો આચાર્ય દ્વારા એલ.સી. કાઢી આપવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. જે અંગે પીધેલી હાલતમાં માર મારતા એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુરના આચાર્ય બાબુભાઇ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..


