પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા શુક્રવારે રાજ્યવ્યાપી ધરણાં યોજાશે
અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંધવારીએ પણ માંઝા મુકી છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે અને સરકારને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 11મી જુનના રોજ રાજ્યવ્યાપી દેખાવો કરાશે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એક્સાઈઝ વધારો કરીને નાગરિકોના ખિસ્સામાંથી 21 લાખ કરોડ રૂપિયા સેરવી લીધા છે. તા. 4 મેથી 10 જૂન સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 22 વખત ધરખમ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થયો તો તેની રાહત સામાન્ય જનતાને કેમ નથી મળતી. આર્થિક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલી કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ગેસ – ડીઝલ – પેટ્રોલ પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે. તેવી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નીતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી છે. સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતા દેશની 130 કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન થઈ ગઈ છે. ભાજપ સરકાર 4મે થી આજદિન સુધીમાં પેટ્રોલ – ડીઝલમાં 22 વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં 73 વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 9.20 પ્રતિ લીટરથી વધારીને અત્યારે 32.98 કરી દીધી છે. એ જ રીતે ડીઝલની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લિટર 3.46થી વધારીને 31.83 કરી દીધી છે. અગાઉ ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલર હતાં. જે ઘટીને અત્યારે 60 અમેરિકી ડોલર થયાં છે. છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાતો નથી