
ગુજરાત સહિત છ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઉમેદવારો ઉતારશે મેદાનમાં
અમદાવાદઃ દિલ્હીમાં શાસન કરતા આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતોના ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય લીધો છે. હવે આમ આદમી પાર્ટી દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોના રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આગામી બે વર્ષના સમયગાળામાં ગુજરાત સહિત છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ચૂંટણીજંગમાં ઉતારશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ ટર્મથી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરનાર આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં વિસ્તાર કરવામાં લાગી છે. આપ ની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલએ આગામી 2 વર્ષમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંદ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પંજાબમાં તો આપના ધારાસભ્યોની સારી સંખ્યા છે. તે ત્યાં મુખ્ય વિપક્ષ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી અરવિંદ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી પંચાયત ચૂંટણી પણ લડશે. એટલું જ નહી ચૂંટણીને ગંભીરતાથી લેતાં આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકરના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને આ ચૂંટણીના સુપરવાઈઝર જાહેર કર્યા છે.