1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પાણી અને ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઈજનેરો સામે પગલા ભરાશે
અમદાવાદમાં પાણી અને ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઈજનેરો સામે પગલા ભરાશે

અમદાવાદમાં પાણી અને ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઈજનેરો સામે પગલા ભરાશે

0
Social Share

અમદાવાદઃ  શહેરનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીમાં પોલ્યુશન, પ્રેશર ઓછુ અને ગટર બેક મારવાની સમસ્યા વારંવાર સર્જાય છે, ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આથી હવે રોડ.પાણી, ગટર સહિતની ફરિયાદોનો યોગ્ય સમયમાં ઉકેલ કરવામાં નહીં આવે તો  તેના માટે વોર્ડ-ઝોનનાં ઇજનેરો સામે પગલાં લેવાની ભલામણ એએમસીના વોટર કમિટી ચેરમેને કરતા વોર્ડ અને ઝોનના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  સાતેય ઝોનનાં મોટાભાગનાં વોર્ડમાં રોડના ખાડાની, પીવાનું પ્રદૂષિત પાણી આવવાની, ગટરો ઉભરાતી હોવાની, પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી તેવી ફરિયાદો વારંવાર ઊઠી રહી છે. વોટર કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં પણ ભાજપનાં સભ્યોએ આ તમામ મુદ્દાઓને લઇ રજૂઆત કરી હતી. તેના પગલે વોટર કમિટીનાં કાર્યકારી ચેરમેન ભરત પટેલે ઇજનેર ખાતાનો હવાલો સંભાળતાં ડે.કમિશનરને જણાવ્યું હતું કે, પ્રજાકીય પ્રશ્નો સમયાંતરે સર્જાય અને એકની એક જગ્યાએ સર્જાય તેને હળવાશથી લઇ શકાય નહિ. તેનો મતલબ એવો થાય કે ત્યાં બરોબર કામ થતું નથી. કેટલાય ઝોનમાં કોર્પોરેટરો ફરિયાદ કરે તો પ્રોજેક્ટ ઉપર ઢોળી છટકી જવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પ્રોજેક્ટમાં રજૂઆત કરે તો ઝોન ઉપર ઢોળવામાં આવે છે. અધિકારીઓનું આવુ વલણ યોગ્ય નથી.આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ અને પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નો વારંવાર સર્જાય તેવી જગ્યાએ ઇજનેરો સામે જ પગલાં લેવા જોઇએ તેવું સૂચન કાર્યકારી ચેરમેને કરતાં બેઠકમાં ઉપસ્થિત ઇજનેર અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

ઇજનેર ખાતાનાં સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, વિવિધ પ્રકારની સમસ્યા માટે વોર્ડનાં ઇજનેર કર્મચારી અને અધિકારી વધારે જવાબદાર હોય છે. તેઓ વોર્ડમાં રાઉન્ડ લેતા નથી અને કામ ચાલતુ હોય ત્યાં નિરીક્ષણ કરતા હોતા નથી. તેના કારણે આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે.

વોટર કમિટી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, નિકોલ વિસ્તારમાં 50 જેટલી સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠે તે વધારે પડતું છે અને તેના માટે હજુ કોઇ હલ આવ્યો નથી, કોર્પોરેટરોને ઇજનેર ખાતા દ્વારા કામ ચાલુ છે તેવા જવાબ આપવામાં આવે છે. તેવી જ રીતે ખાડિયામાં ઢાળની પોળ, માંડવીની પોળ, રતનપોળ ગોલવાડ તથા અમરાઇવાડીની ચાલીઓમાં વગેરે જગ્યાએ પ્રદૂષિત પાણીની અને પ્રેશરની ફરિયાદો સમયાંતરે ઉઠ્યા કરે છે. વિંઝોલ ડ્રેનેજ પંપીગ અને ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઇ જવા છતાં નિકોલ-નરોડા વિસ્તારમાં હજુ પણ ઠેર ઠેર ગટરો ઉભરાતી હોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. તેના માટે અધિકારીઓએ હરિદર્શન ચોકડીથી નવા રિંગરોડ સુધી નવી લાઇન નાખવામાં આવશે એટલે સમસ્યા હલ થઇ જશે તેવી હૈયાધારણ આપી હતી.

એએમસીના વોટર કમિટીનાં કાર્યકારી ચેરમેન ઉમેર્યુ હતું કે, શહેરના ચાંદલોડિયા તળાવને વર્ષો અગાઉ ડેવલપ કરવામાં આવ્યું હતું. સમય વિતતા તેમાં અનેક પ્રકારે તૂટફૂટ થઇ છે. તેનાં રિપેરીંગ માટે સવા કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં તળાવ ફરતેની દિવાલ, વોક-વે, બાંકડા અને લાઇટીંગ સહિતની પ્રજાકીય સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ આવા અનેક તળાવ છે, જ્યાં રિપેરીંગની જરૂરિયાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code