Site icon Revoi.in

અસરગ્રસ્ત ખેડૂતો કાલે 14મી નવેમ્બરથી 15 દિવસ સુધી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે

Social Share

 ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે.

કૃષિમંત્રી  જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે.

આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા  VCE/VLE મારફત અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ માટે 16500થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે.

કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.