લખનઉ: એક તરફ અયોધ્યામાં શ્રી રામલલા જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ પર વિશ્વની નજર છે. બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં જાનકી દેવીનું જન્મસ્થળ બિહારના સીતામઢીમાં આવેલું છે. પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી જ અહીં છે, પરંતુ હવે તેને વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરના વિકાસ માટે 72 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના પ્રવાસન વિભાગે કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. બેઠક વિશે બોલતા કેબિનેટ સચિવાલયના અધિક મુખ્ય સચિવ એસ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, “કેબિનેટે સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ જાનકી મંદિરના વિકાસ માટે રૂ. 72.47 કરોડ મંજૂર કર્યા છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી તીર્થયાત્રીઓને આકર્ષે છે.”
આ પ્રોજેક્ટ હેઠળ નીતિશ સરકાર સીતામઢી જિલ્લામાં ‘સીતા-વાટિકા’, ‘લવ-કુશ વાટિકા’ વિકસાવશે. આ ઉપરાંત ‘પરિક્રમા’ માર્ગનું નિર્માણ કરશે. ડિસ્પ્લે કિઓસ્ક, કાફેટેરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવશે. કેબિનેટ સચિવના જણાવ્યા અનુસાર, અહીં આવતા તમામ કનેક્ટિવિટી રોડને જોડવામાં આવશે અને આ તીર્થસ્થળને પણ વહેલી તકે વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત, સ્થળની આસપાસ થીમેટિક ગેટ અને પાર્કિંગ વિસ્તારો પણ બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય કેબિનેટે ગયાજી ધામમાં શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળાના નિર્માણ માટે 120.15 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપી છે.