
અમદાવાદઃ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો 75 ડી-વોટરિંગ પંપથી નિકાલ
અમદાવાદ: શહેરમાં 10 જુલાઈના રોજ 18 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરની પ્રાઇવેટ સોસાયટીઓ તેમજ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી હતી. આ કુદરતી આફતના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે તમામ કામગીરીઓ કરવામાં આવી હતી. AMC દ્વારા તાત્કાલિક ધોરણે જ્યાં પાણી ભરાયુ હતું ત્યાં ડી – વોટરીંગના પંપો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારમાંથી પાણીનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે.
રવિવારે અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AMCના અધિકારીઓ અને ઇજનેરો દ્વારા દિવસ રાત સતત સ્થળની વિઝીટ કરીને પાણીના નિકાલ માટે 75 થી વધુ ડી- વોટરિંગ પંપો કાર્યરત કરી દીધા હતા અને તમામ જગ્યાઓ પરથી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે જ શરૂ કરી દીધી હતી. વરસાદી પાણી ઓસરી ગયા બાદ સોસાયટીઓમાં થયેલી ગંદકીને પણ સાફ કરવામાં આવી હતી. આમ, ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા તેને હટાવી લેવામાં આવ્યાં છે.