Site icon Revoi.in

અમદાવાદનો કાલે બુધવારે સ્થાપના દિન, ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નિકળશે

Social Share

અમદાવાદઃ ઐતિહાસિક ગણાતા અમદાવાદ શહેરનો આવતી કાલે 26મી ફેબ્રુઆરીને બુધવારના રોજ 614મો સ્થાપના દિન છે. ત્યારે કાલે બુધવારે પ્રથમવાર નગરના દેવી એવા ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળશે. નગરદેવી માતા ભદ્રકાળી માતાજી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથમાં બિરાજી ભક્તાને દર્શન આપશે. કાલે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના 614મા સ્થાપના દિવસ નિમિત્તે ભદ્રકાળી માતાજી સવારે 8 વાગ્યાથી રથયાત્રા નિકળશે. જે કોટ વિસ્તાર અને ખાસ કરીને માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતાં વિસ્તારો પાસેથી પસાર થશે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખીને યાત્રા કાઢવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માતાજીની પહેલી નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. મંદિરના પૂજારી શશિકાંતભાઈ તિવારીએ જણાવ્યું કે, મંદિર દ્વારા પહેલી વખત માતાજીની નગરયાત્રા નિકળશે. પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. શહેરના હજારો લોકો આ યાત્રામાં જોડાશે. આ યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે. નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે. યાત્રા ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે જઈને નીજ મંદિર પરત ફરશે.  આ નગરયાત્રામાં અંદાજે 5000 માણસોનો ભંડારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવશે. આ સિવાય જે લોકો જોડાશે તે પ્રમાણે પ્રસાદ અને ભોજનની અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. એક વખત લોકોનો સાથ મળશે પછી દર વર્ષે ચોક્કસ તિથિએ માતાજીની રથયાત્રા કાઢવાનું ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વિચારણા છે.