અમદાવાદની SVP હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ-19માં ફેરવાશેઃ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. એસવીપી હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓને જ સારવાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન એસવીપી હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ સિવાય હાલ અન્ય કોઈ દર્દીઓની સારવાર નહીં કરવામાં આવે.
આ હોસ્પીટલમાં હાલ પુરતી અન્ય સેવાઓ બંધ કરવામાં આવી છે. અગાઉ કોરોના કેસમાં ઘટાડો નોધાતા અન્ય સેવાઓ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્થાનિક તંત્રની સાથે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ સુરત દોડી ગયા હતા. જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના મહામારીને લઈને લંબાણ પૂર્વકની ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.