LPG અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે ઉત્પાદનમાં કર્યો 40% નો વધારો
નવી દિલ્હી, 20 માર્ચ 2026: દેશમાં ઇંધણની અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા અને ઉદ્યોગો માટે રાહતના સમાચાર આપ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સતત જળવાઈ રહેશે.
દેશમાં રાંધણ ગેસ (LPG) ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે આક્રમક વ્યૂહરચના અપનાવી છે. છેલ્લા બે અઠવાડિયામાં જ સ્થાનિક LPG ઉત્પાદનમાં આશરે 40% નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ પગલાથી ઘરેલું વપરાશકારોને ગેસ સિલિન્ડર માટે રાહ જોવી પડશે નહીં.
સરકારે વ્યવસાયિક વપરાશકારો માટે પણ મહત્વના ફેરફારો પ્રસ્તાવિત કર્યા છે. વાણિજ્યિક LPG માટે 10% વધારાના ક્વોટાનો પ્રસ્તાવ છે. હાલમાં રાજ્યોને તેમના સરેરાશ વપરાશના 20% ફાળવવામાં આવે છે. જો રાજ્ય સરકારો કેન્દ્ર દ્વારા સૂચિત ચોક્કસ સુધારાઓ લાગુ કરશે, તો આ ક્વોટા 20% થી વધારીને 30% કરવામાં આવશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ભારત હાલમાં પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર છે. દેશ પાસે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (વિમાનનું ઇંધણ) સહિત તમામ ઇંધણનો પૂરતો સ્ટોક છે. ભારતને આ ઇંધણની આયાત કરવાની કોઈ જરૂર નથી, જે અર્થતંત્ર માટે મજબૂત સંકેત છે.


