નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હુમલા સ્થળની મુલાકાત લેવા માટે પહેલગામ પહોંચ્યા હતા. અમિત શાહે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પીડિત પરિવારોને મળ્યા હતા. બીજી તરફ NIA પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરશે. આ માટે દિલ્હી અને જમ્મુથી NIA ટીમો પહેલગામ જવા રવાના થઈ ગઈ છે. NIA સ્થાનિક પોલીસ સાથે મળીને આ ઘટનાની તપાસ કરશે. આ આતંકવાદી હુમલાની ઘટનાને પગલે દેશવાસીઓમાં રોષ ફેલાયો છે અને તેમને તેમની ભાષામાં જ જવાબ આપવાની માંગણી ઉઠી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સહિતના આગેવાનોએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમજ આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સહયોગ આપવાની તૈયારીઓ દર્શાવી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના શુભમ દ્વિવેદીનો પણ સમાવેશ થાય છે. શુભમ દ્વિવેદીના પિતરાઈ ભાઈ સૌરભે જણાવ્યું કે ‘શુભમ ભૈયાના લગ્ન 12 ફેબ્રુઆરીએ જ થયા હતા. તે તેની પત્ની સાથે પહેલગામમાં હતો. મારી ભાભીએ મારા કાકાને ફોન કરીને કહ્યું કે શુભમના માથામાં ગોળી વાગી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા પછી તેમની હત્યા કરી હતી. અમને કહેવામાં આવ્યું છે કે બે-ત્રણ દિવસમાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.