Site icon Revoi.in

જામનગર-રાજકોટ નેશનલ હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો

Social Share

જામનગરઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જામનગર તરફથી આવતી એક સીએનજી રિક્ષાને એસટી બસના ચાલકે પાછળથી ઠોકર મારી દેતાં રિક્ષાના ચાલક 55 વર્ષના આધેડનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યુ હતું.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા રામુભાઈ રામજીભાઈ કુશવાહા નામના 55 વર્ષના આધેડ કે જેઓ પોતાની જી.જે 17 વી.વી 1505 નંબરની રિક્ષા લઈને રાજકોટથી ફ્રુટ ભરીને જામનગર પરત ફરી રહ્યા હતા.દરમિયાન ધ્રોળ નજીક સરમરીયા દાદાના મંદિરની જગ્યા પાસે પાછળથી આવી રહેલી જી.જે.18 ઝેડ 9759 નંબરની એસટી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તે અકસ્માતમાં રિક્ષા પલટી મારી ગઈ હતી. જેથી તેના ચાલક રામુભાઈ કુશવાહાને માથાના ભાગે તેમજ શરીરમાં અન્ય નાની મોટી ઈજાઓ થતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સૌરભ રામુભાઈ કુશવાહાએ.  એસ.ટી. બસ ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બસચાલક સામે  અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.