Site icon Revoi.in

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય રાજદ્રારીઓના ઘરોમાં પાણી અને ગેસ સપ્લાય બંધ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એક નાપાક કૃત્ય કર્યું છે અને ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓના ઘરોમાં મિનરલ વોટર, ગેસ અને અખબારોનો પુરવઠો બંધ કરી દીધો છે. સ્થાનિક ગેસ સિલિન્ડર સપ્લાયર્સને ભારતીય રાજદ્વારીઓને સિલિન્ડર ન વેચવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ભારતે દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારીઓને અખબારો પહોંચાડવાનું પણ બંધ કરી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની અધિકારીઓ ભારતીય રાજદ્વારીઓ પર પણ નજર રાખી રહ્યા છે. ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓના ઘરો અને કાર્યાલયોમાં ગેરકાયદેસર પ્રવેશની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આને રાજદ્વારીઓ અને કર્મચારીઓને ડરાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર પછી બદલો લેવા માટે આ કૃત્યો કરી રહ્યું છે. આ તેની ગુપ્તચર એજન્સી ISI ના ષડયંત્રનો એક ભાગ છે.

ઓપરેશન સિંદૂર પહેલા, વિક્રેતાઓ ભારતીય હાઇ કમિશનને ગેસ સિલિન્ડર અને બોટલબંધ પાણી સપ્લાય કરતા હતા, પરંતુ હવે તેઓ આમ કરવામાં ખચકાટ અનુભવે છે અને મોટાભાગે ઇનકાર કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની કંપની સુઇ નોર્ધન ગેસ પાઇપલાઇન લિમિટેડે ભારતીય હાઇ કમિશન પરિસરમાં સ્થાપિત પાઇપલાઇનમાં ગેસનો પુરવઠો બંધ કરી દીધો છે.

ભારતીય રાજદ્વારીઓ અને તેમના પરિવારોને વધુ પૈસા ચૂકવવા છતાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2019 માં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી પણ, ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓને આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ગેસ, પાણી અને અખબારો બંધ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય રાજદ્વારી સંબંધો પરના વિયેના સંમેલન (1961) નું ઉલ્લંઘન છે. સંમેલનની કલમ 25 અનુસાર, યજમાન દેશે રાજદ્વારી મિશનના સુગમ સંચાલન માટે તમામ સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. પાકિસ્તાને જાણી જોઈને આ મૂળભૂત પુરવઠો બંધ કરીને મિશનના કાર્ય અને રાજદ્વારીઓના રોજિંદા જીવનમાં અવરોધ ઊભો કર્યો. પાકિસ્તાનની કાર્યવાહી દબાણનું વાતાવરણ બનાવવાનો સીધો પ્રયાસ છે.