Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાતની ઝૂબેશ પણ ટાર્ગેટ પૂર્ણ કરવો મુશ્કેલ

Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ સહિતના વેરાની વસુલાત માટેનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ 2024-25 માટે મ્યુનિની વેરા વસૂલાત શાખાને રૂપિયા 410 કરોડની વસૂલાત કરવાનો લક્ષ્યાંક બજેટમાં આપવામાં આવ્યો હતો. જે પૈકી મોટાભાગની રકમ તો મિલકતધારકોએ પોતે જ સામેથી ભરી દીધી છે અને ઘણાને તેમાંથી વેરા વળતર યોજનાનો સારો એવો લાભ મળ્યો છે. મ્યુનિના વેરા વિભાગના અધિકારીઓની વસુલાત ઝુબેશ છતાંયે 100 ટકા સફળતા મળી નથી. રૂપિયા 410 કરોડની વસુલાતના ટાર્ગેટ સામે 360 કરોડની વસુલાત થઈ છે. હવે નાણાકિય વર્ષ પૂર્ણ થવામાં 40થી 42 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે ટાર્ગેટ પૂર્ણ થઈ શકશે કે કેમ તે પ્રશ્ન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે બજેટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે 410 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધીમાં કુલ વેરા આવક માંડ 360 કરોડ રૂપિયા થઈ છે.વેરા વસૂલાત શાખામાં બે વર્ષ પહેલાં મોટા ફેરફાર કરીને રિકવરી સેલ ઊભો કરવામાં આવ્યો હતો. જેની એકમાત્ર કામગીરી માત્રને માત્ર બાકીદારો પાસે ઉઘરાણી કરવાની હતી. બાકીની તમામ વહીવટી કામગીરી બીજા કર્મચારીઓને અપાઇ હતી. જોકે ચાલુ વર્ષે આ રિકવરી સેલ જ વિખેરાયો હોય તેમ કામગીરી થઈ રહી નથી. સીલિંગ અને નોટિસ આપવાની ઝુંબેશ ચાલી રહી છે પણ તે નાના બાકીદારો સામે થઈ રહી છે. મોટા બાકીદારો તેમજ સરકારી લેણા પર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ અંગે આરએમસીના વેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યુંહતું કે,  માર્ચ એન્ડિંગમાં સરકારી કચેરીઓને ગ્રાન્ટ આવતી હોય છે તેમાંથી વેરા બિલ જમા થશે. જોકે માર્ચ તો દર વર્ષે આવે છે પણ સરકારી કચેરી દર વર્ષે વેરો ભરતી નથી તે પણ હકીકત છે. જ્યારે મોટા બાકીદારો કે જેની મિલકતો ટાંચમાં લઈને હરાજી કરીને રકમ મેળવી શકાય છે તે મામલે અધિકારીઓ મૌન થઈ રહ્યા છે. ઘણા સમયથી મિલકતોને ટાંચમાં લેવા નોટિસ તો આપવામાં આવે પણ અત્યાર સુધીમાં એકપણ મિલકતની હરાજી કરવામાં આવી રહી નથી.