Site icon Revoi.in

મણિપુર, નાગાલેન્ડના હથિયારોના લાયસન્સનું કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ રાજયમાં હથિયારો રાખવાના શોખીનો દ્વારા નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાના કૌભાંડ પોલીસ દ્વારા પર્દાફાશ કર્યો હતો. જોકે, આ કૌભાંડ અંગે પોલીસે ભારે પ્રસિદ્ધિ મેળવી હતી પરંતુ આ કૌભાંડમાં રાજ્યના એક મંત્રી પુત્ર સહિત અનેક મોટા માથાઓના નામો સામે આવતાની સાથે જ વગદારોને બચાવવા માટે ગેરકાયદેસર હથિયાર લાઈસન્સ કૌભાંડમાં ભીનું સંકેલવાના ખેલ ચાલી રહ્યા છે. તેમ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજયમાં છેલ્લાં ઘણાં લાંબા સમયથી બોગસ હથિયાર પરવાના મેળવવાનો વેપલો ચાલી રહ્યો છે. ગુજરાત પોલીસે નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારના પરવાના મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં પોલીસ દ્વારા 40 વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. જોકે આ મામલામાં રાજ્યના એક મંત્રી પુત્ર, બિલ્ડર, પોલીસ અધિકારીઓનાં સંતાનો, ડાયરાના કલાકારો સહિતના અનેક મોટામાથાઓની સંડોવણી સામે આવતા પોલીસ દ્વારા તપાસ મંદ પાડી દેવામાં આવી છે.  કોના દબાણથી આ તપાસને મંદ પાડીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરાતી નથી. આ આરોપીઓને ન પકડવા માટે પોલીસ ઉપર કોનું દબાણ કામ કરી રહ્યું છે ?
ગુજરાતમાંથી 69 જેટલા મોટા ગજાના લોકોએ નાગાલેન્ડ અને મણિપુરમાંથી હથિયાર રાખવાના પરવાના મેળવ્યા હતા. આવા મોટા માથાઓના નામો સામે આવતા તપાસને ખોરંભે ચડાવી દેવામાં આવી હોય તેમ જણાય છે. આવા હથિયાર પરવાના મેળવવામાં કરોડો રૂપિયાના ખેલ ખેલાયા છે.  ત્યારે ગેરકાયદેસર હથિયાર તથા લાઈસન્સના કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી ક્યારે સરકાર કરશે? તેવો સવાલ પૂછતાં કોંગ્રેસના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ હથિયારથી કોણે ખંડણી, જમીન માટે, વિરોધીઓને દબાવવા માટે ધમકી અપાઈ છે કે કેમ? આવા બોગસ હથિયાર પરવાના મેળવવાના મામલામાં પોલીસ દ્વારા 40 વ્યક્તિની ધરપકડ કરાઇ છે, તો બાકીના મોટા માથા 68 અને મંત્રી પુત્રની ધરપકડ કેમ કરવામાં આવી નથી ? આ મામલામાં પોલીસ દ્વારા મંત્રી પુત્રની કોલ ડિટેઇલ અને ભાડા કરારની તપાસ ક્યારે કરવામાં આવશે ? આ મામલામાં મંત્રી પુત્ર અને મોટા માથા સંડોવાયેલા હોવાથી શું તેને બચાવવા માટેના ખેલ શરૂ કર્યા છે? આ બોગસ હથિયાર પરવાના મામલાના આરોપીઓને ન પકડવા માટે કોનું દબાણ છે? તે અંગે રાજ્ય સરકારે જવાબ આપવો જોઈએ.