અદાણી વિદ્યામંદિરના ભૂતપુર્વ વિદ્યાર્થી અમિત ખોખરે NAEST 2022માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. નેશનલ અન્વેશિકા એક્સપરીમેન્ટલ સ્કીલ ટેસ્ટમાં અમિતે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે. સમગ્ર ભારતમાં કોલેજ કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરનાર અમીત પોતાની આ સફળતાનો શ્રેય અદાણી વિદ્યામંદિરમાં મળેલા શિક્ષણ અને તાલીમને આપે છે. હવે અમીતનું લક્ષ્ય આઈઆઈટીમાંથી ડીગ્રી હાંસલ કરી સરકારી સેવામાં ઉચ્ચ પદાધિકારી બનવાનું છે.
સામાન્ય પરિવારમાંથી આવતા અમીતના પિતા એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને માતા ગૃહિણી છે. પરિવારના ભરણપોષણ સાથે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસના ખર્ચને પહોંચી વળવું એટલું આસાન ન હતું, પરંતુ અદાણી વિદ્યામંદિરમાં પ્રવેશ મેળવી સતત મહેનત અને ખંતથી અભ્યાસ કરી અમીતે સફળતાનું શિખર સર કર્યુ છે. NAESTમાં સફળતા મળતાં જ તેને આઈઆઈટીમાં અભ્યાસ અને સંશોધન કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
કોલેજ કક્ષાએ NAEST 2022 માં પ્રથમ સ્થાન મેળવનાર અમિત ખોખર જણાવે છે કે “મારી સફળતાના મૂળ અમદાવાદના અદાણી વિદ્યા મંદિરથી જોડાયેલા છે. હું ગૌતમ અદાણી સર, પ્રીતિ જી અદાણી મેમ, શિલિન આર અદાણી મેમ અને શાળા મેનેજમેન્ટનો ખૂબ જ આભારી છું કે તેઓએ મને નિઃસ્વાર્થપણે શિક્ષણ અને તાલીમની અમૂલ્ય ભેટ આપી. વિદ્યામંદિરના શિક્ષકોના પ્રોત્સાહનથી મને કારકિર્દીલક્ષી મંથન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવામાં ઘણી મદદ મળી. AVMA શિક્ષકો પાસેથી હું જે શીખ્યો તે અભ્યાસ કે વાંચન કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે અને તેના ફાયદાઓ હવે મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.
NAEST એ પદ્મશ્રી ડૉ. એચસી વર્મા (રિટા. IIT કાનપુર, સોપાન આશ્રમ) ની અનોખી પહેલ છે. અમિતની સફળતાએ તેના શિક્ષકો સહિત શાળાનું પણ ગૌરવ વધાર્યુ છે. વાર્ષિક ધોરણે યોજાતી NAEST સ્પર્ધા ભૌતિકશાસ્ત્રમાં વિદ્યાર્થીઓની ઉત્સુકતા, અવલોકન ક્ષમતા, વિશ્લેષણાત્મકતા અને પ્રાયોગિક કૌશલ્યોનું મૂલ્યાંકન અને જતન કરે છે. તે NEP 2020 ના સિદ્ધાંતો જેવા કે આનંદકારક શિક્ષણ, ઉપયોગી ભણતર, પ્રાયોગિક તાલીમ અને યોગ્યતા-આધારિત મૂલ્યાંકનને જીવંત બનાવે છે.
NAESTની વાર્ષિક સ્પર્ધામાં દેશની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લે છે. સ્પર્ધાત્મક પરિક્ષા સિનિયર અને જુનિયર એમ જૂથોમાં આયોજિત કરવામાં આવે છે. જુનિયર કેટેગરીમાં વિદ્યાર્થીઓ માટે 9 થી 12 ધોરણ સુધી અને સિનિયર કેટેગરીમાં કૉલેજના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.