1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એક મહિલા બની બીજી મહિલાની મુશ્કેલ સમયની “સંગીની”, સાથે મળીને તેમણે તોડી એક કુપ્રથા!
એક મહિલા બની બીજી મહિલાની મુશ્કેલ સમયની “સંગીની”, સાથે મળીને તેમણે તોડી એક કુપ્રથા!

એક મહિલા બની બીજી મહિલાની મુશ્કેલ સમયની “સંગીની”, સાથે મળીને તેમણે તોડી એક કુપ્રથા!

0
Social Share

અમદાવાદ : નાની ઉંમરે બાળ લગ્ન કરાવવાનો કુરિવાજ ભારતભરમાં ચાલે છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. નર્મદાના આદિવાસી વિસ્તારમાં પણ કંઇક આવું જ થવાનું હતું, પણ ફરક અહીં તે રીતે પડ્યો કે આ મુશ્કેલીની સ્થિતિમાં એક મહિલા, બીજી મહિલાની સમસ્યાઓની “સંગીની” બની અને તેના પરિવારને આ ભૂલ કરતા અટકાવ્યો.

આ વાત છે, નર્મદા જિલ્લાના નાંદોદ વિસ્તારમાં આવેલ ગાડિત ગામની. આ ઘટના જયારે બની ત્યારે અમિષા જેસલભાઇ વસાવા 17 વર્ષની હતી. તેના પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. અમિષા, SSCની પરીક્ષામાં નાપાસ થઇ હતી. અને આ પછી તેણે ભણવાનું છોડી દીધું. જે બાદ “જુવાન છોકરીને ઘરે કેમ રખાય!” તેવા વિચાર હેઠળ તેના 17 વર્ષની સગીર ઉંમરે બાળ લગ્ન કરાવાનું નક્કી થયું. ઉલ્લેખનીય છે કે અમિષાની સગાઇ, બે વર્ષ પહેલા જ થઇ હતી. હવે, તેનો પરિવાર તેના બાળ લગ્ન કરાવવા જઇ રહ્યો હતો.

આવી સ્થિતિમાં સુપોષણ “સંગીની” તેવા રેખાબેન વસાવાને આ વાતની જાણ થઇ. રેખાબેન છેલ્લા ત્રણ વર્ષથી જેટલા સમયથી અદાણી વિલ્મારની CSR (Corporate Social Responsibility) ટીમ દ્વારા સંચલિત “સુપોષણ સંગીની” પહેલ સાથે જોડાયેલા છે. આ “સુપોષણ સંગીનીઓ”, મહિલાઓ અને સગીરમાં થતા એનિમિયા અને બાળકોને થતા કુપોષણને અટકાવવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ છે, સાથે જ તેમને સુપોષણયુક્ત આહાર લેવા માટે જાણકારી આપે છે.

સુપોષણ સંગીની તેવા રેખાબેન તે વાત સારી રીતે જાણતા હતા કે સગીર ઉંમરે યુવતીના લગ્ન થવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધી જાય છે, આવી સ્થિતિમાં જો ગર્ભ રહે તો બાળક કુપોષિત આવી શકે છે અને કુમળી વયે ગર્ભધારણ કરવાની સગીર યુવતીની શારિરીક અને માનસિક સ્થિતિ પર પણ ગંભીર અસર થઇ શકે છે. આ જ કારણ છે કે ભારત સરકારે પણ હાલમાં જ ભારતમાં યુવતીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરવા પ્રયાસશીલ છે.

આદિવાસી વિસ્તારમાં આ સરકારી નિયમ લોકોને સમજાવવો લોઢાના ચણા ચાવવા સમાન વાત છે. તેમ છતાં રેખાબેને હિંમત ના હારી, તેમણે સગીર અમિષાના પરિવારજનોને સમજાવવાનું શરૂ કર્યું, અને આ બાળ લગ્ન રોકવા માટે પ્રયાસો શરૂ કર્યા. રેખાબેન અહીંથી ના અટક્યા તેમણે અમિષાની સગાઇ જ્યાં થઇ હતી ત્યાં, તેના સાસરિયા જોડે પણ વાત કરી, અને સગીર વયે લગ્ન કરવાથી શું નુક્શાન થાય છે તે અંગે જાણકારી આપી. વધુમાં ગામના વડીલો જોડે પણ વાત કરી. તેમને પણ પરિવાર આ બાળ લગ્ન ના કરે તે માટે મનાવવા કહ્યું.

છેવટે, તેમની મહેનત ફળી, સૌથી પહેલા અમિષાના માતા આ વાતે રાજી થયા, અને થોડા દિવસ પછી તેના પિતા પણ દીકરીની યોગ્ય ઉંમરે જ લગ્ન કરવાની વાતે રાજી થયા. આમ, અમિષાના 17 વર્ષની કુમળી વયે લગ્ન થતા અટક્યા. એટલું જ નહીં હવે અમિષા, ફરીથી પોતાની 12માં ધોરણની પરીક્ષા આપી રહી છે. આ સિવાય તે બ્યૂટી પાર્લરનો કોર્સ પણ શીખી છે. જેથી તે આવનારા સમયમાં પગભર બની શકે.

રેખાબેન જેવી નાના ગામોમાં કામ કરતી અનેક સંગીની બહેનો છે, જે અથાગ પ્રયાસો કરી દીકરીઓને બાળ વિવાહ જેવા કુરિવાજથી મુક્ત થવામાં મદદ કરી રહી છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સંગીની બહેનોની મદદથી કુલ 21 દીકરીઓના સગીરવયે લગ્ન થતા અટકાવ્યા છે, સાથે જ, આ બહેનો ગર્ભવતી માતાઓ અને કુપોષિત બાળકોને પણ સુપોષણ અંગે જાગૃત કરી, સ્વસ્થ રહેવામાં મદદ કરી રહી છે. આમ, આ તમામ મહિલાઓ પોતાના સ્તરે અદ્ધભૂત કામ કરીને સ્વસ્થ ભારતના વિકાસમાં નાનું પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code