અમર સાંસ્કૃતિક વારસાની ઉજવણી સમાન ભારતકૂલ અધ્યાય–2નો શુક્રવારે સવારે પ્રારંભ
- 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજનાર ભારતના ભાવ, રાગ અને તાલના આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે
- ઉદ્દઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિશેષ ઉપસ્થિતિ
- ગુજરાત મીડિયા ક્લબ આયોજિત આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો
અમદાવાદ, 11 ડિસેમ્બર, 2025: Bharatkool Chapter 2 ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત મૂલ્યોને ઉજવવાની પહેલ છે. ગયા વર્ષે અધ્યાય-1ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ભારતકૂલ અધ્યાય–2 યોજાઈ રહ્યો છે. 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં યોજાનાર આ ત્રણ દિવસીય ઉત્સવમાં કલા, સાહિત્ય, સંગીત, સંવાદ સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતની સાંસ્કૃતિક ઓળખને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતકૂલમાં પરંપરા અને આધુનિક અભિગમનું સંયોજન જોવા મળશે.

ઉત્સવનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, જ્ઞાનવત્સલ સ્વામીજી, દ્વારકેશલાલજી મહારાજશ્રી તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આ ઉત્સવમાં ચર્ચા-સંવાદ, કવિ સંમેલન, કવયિત્રી સંમેલન, ઓસમાણ મીરની સંગીત રાત્રિ ઉપરાંત આશરે 60 કલાકારોના ચિત્રકલા અને શિલ્પકલાના પ્રદર્શનનો સમાવેશ છે. આ કાર્યક્રમો દર્શકોને ભારતની કલાત્મક, સાહિત્યિક અને આધ્યાત્મિક વારસાનો ગહન અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રખ્યાત લેખકો, કવિઓ અને વક્તાઓના સત્રો યોજાશે. જેમાં પદ્મશ્રી કવિ તુષાર શુક્લ, ભાગ્યેશ જહા, હાસ્યલેખક શાહબુદ્દીન રાઠોડ, જય વસાવડા, લેખક નિરન ભટ્ટ, રામ મોરી, જયેન્દ્રસિંહ જાદવ, જગદીશ ત્રિવેદી અને રામેશ્વરબાપુ હરિયાણી સામેલ છે. સાથે જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની પૂર્ણ ટીમ પણ હાજર રહેશે અને દર્શકો સાથે સંવાદ કરશે.
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્ય પ્રાયોજકો અદાણી, GMDC, GIDC, RARU, RHETAN અને સહ-પ્રાયોજકો ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત છે.



