1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપ ફરીવાર ભરતી મેળો શરૂ કર્યો, આમ આદમી પાર્ટીના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયાં
ભાજપ ફરીવાર ભરતી મેળો શરૂ કર્યો, આમ આદમી પાર્ટીના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયાં

ભાજપ ફરીવાર ભરતી મેળો શરૂ કર્યો, આમ આદમી પાર્ટીના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયાં

0
Social Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી છે. કદાચ વહેલા ચૂંટણી યોજાય તેવી પણ ચર્ચા છે. ત્યારે ભાજપે દર વખતની જેમ આ વખતે પણ ભરતી મેળો શરૂ કર્યો છે. આ વખતે ભાજપના રડારમાં આમ આદમી પાર્ટી છે. આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તા.2જી એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તે પહેલા ભાજપે આપના 1500 જેટલા કાર્યકર્તાને પક્ષમાં આવકારીને કેસરી ખેસ અને ટોપી પહેરાવી હતી.

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા ગુજરાતના વિવિધ 11 જિલ્લાના 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા અને કેસરિયો કર્યો હતો. કાર્યક્રમ પહેલા જ કમલમમાં તમામ 1500 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપીમાં જોવા મળ્યા હતા. ભાજપ અધ્યક્ષ પહોંચે તે પહેલાં કાર્યકરોએ AAP ની ટોપી પહેરી હતી. પરંતુ બાદમાં તમામને આપની ટોપી ઉતારીને ભાજપની કેસરી ટોપી પહેરાવાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા અને ધારાસભ્યો રમણ પટેલ તથા મયૂર રાવલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં ભાજપના મહામંત્રી રજની પટેલે કાર્યકરોને ભાજપની ટોપી પહેરાવી હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા કપરા ચઢાણ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બનવાની તૈયારીમાં છે. ત્યારે તે પહેલા જ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આપના 1500 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ પક્ષપલટો કરી આપના કાર્યકરો હવે બીજેપીના કાર્યકરો બન્યા છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્યકરો છે. એક મહિનાથી બીજેપી દ્વારા પક્ષપલટાનું ઓપરેશન ચાલ્યુ હતું. આમ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પહેલા આપને મોટો ફટકો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર પણ ભાજપના સંપર્કમાં છે, જેઓ ભાજપ તરફ પ્રયાણ કરી શકે છે. તાજેતરમાં જ સુરતમાં આપના પાંચ કોર્પોરેટરોએ ભાજપમાં પક્ષપલટો કર્યો હતો, જે આમ આદમી પાર્ટીને મળેલો પહેલો ફટકો હતો, પરંતુ આજે સીધા જ 1500 કાર્યકર્તાઓનો ફટકો પડ્યો છે.  બીજી તરફ આ મામલે આપ દ્વારા પ્રતિક્રીયા આપવામાં આવી હતી કે, આમ આદમી પાર્ટીના જે 1500 જેટલા આગેવાનો/ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે, તેઓ AAP દ્વારા સસ્પેન્ડ કરાયેલા, સાઇડલાઇન કરાયેલા અને અતિ મહત્વકાંક્ષી એવા ત્રણ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. કેટલાકને આપ દ્વારા ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં પાર્ટી વિરુદ્ધા કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો કેટલાક એવા લોકો જે ભાજપના ઇશારે આપ પાર્ટીમાં ગંદકી ફેલાવી રહ્યા હતા અને પાર્ટીના દરેક કામો અને કાર્યક્રમોમાં ગતિઅવરોધ પેદા કરી રહ્યા હતા. જેથી તેઓ પાર્ટી દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા હતા અને કોઇ હોદ્દા પર તેઓને નિમુણૂંક આપવામાં આવી ન હતી. આ ઉપરાંત અતિ મહાત્વાકાંક્ષી લોકો જેમને માત્ર હોદ્દો અને ટિકિટ સાથે જ લેવા-દેવા અને લાગતુ-વળગતુ હતું તેવા પણ ભાજપમાં જોડાયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code