
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો 12મીએ બહુચરાજીથી પ્રારંભ થશે
અમદાવાદઃ ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યાં હતા., તે તમામ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. તેમ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ વિકાસ કાર્યોને લઈને જનતા સુધી પહોંચાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, 24 કલાક વિજળી, ઈન્પાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું કામ ગુજરાતમાં થયું છે. આ યાત્રાનો આરંભ 12મી ઓક્ટોબરથી થશે, વિકાસ કામોની માહીતી લઈ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરશે. રાજ્યના અલગ-અલગ જિલ્લાના વિધાનસભા વિસ્તારને યાત્રામાં કવર કરાશે. પ્રથમ યાત્રાનો 12મી ઓક્ટોબરે બહુચરાજી માતાના મઢથી પ્રારંભ થશે.9 જિલ્લાની 33 બેઠકો ઉપર 9 દિવસમાં 1730 કિમીનો પ્રવાસ કરવામાં આવશે. આ યાત્રા કચ્છના આશાપુરાના આશિર્વાદ સાથે સંપન્ન થશે.
બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઈ ખાતેથી પ્રસ્થાન થશે. ગૌરવયાત્રા કુલ 144 વિધાનસભામાં પરિભ્રમણ કરશે અને 145 જેટલી સભાઓ સંબોધવામાં આવશે. કુલ 5734 કિમી પરિભ્રમણમાં ભાજપના નેતાઓ, આગેવાનો, મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે.