ભૂજઃ કચ્છના દરિયા કાંઠે પણ ડ્રગ્સથી લઈને દાણચોરી થઈ રહી છે.તેની સામે મરીન પોલીસથી લઈને એજન્સીઓ પણ એલર્ટ બની છે. ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પર ચોખાની આડમાં ચંદનની દાણચોરી પકડાઈ છે. ચોખાની આડમાં લઈ જવાતા લાલ ચંદનની દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડીઆઈઆર એ બુધવારે મોડી રાત સુધી તપાસ કરી રક્ત ચંદનના 177 લોગ્સ કબ્જે કર્યા હતા. કુલ 5.4 ટન લાલ ચંદનની દાણચોરી ઝડપાઈ છે, જેની આંતરરાષ્ટ્રી બજારમાં 3 કરોડથી વધુની કિંમત છે. લુધિયાણાથી આવેલું કન્સાઈમેન્ટ દુબઈ જવાનું હતું, તે પહેલા જ પકડાયુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ડિરોક્ટરેટ ઓફ રેવન્યુ દ્વારા મુન્દ્રા પોર્ટ પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં લુધિયાણાથી દુબઈ જઈ રહેલા એક્સપોર્ટના કન્ટેનટરને તપાસવામાં આવ્યુ હતું. આ કન્ટેનરમાં ચોખા હોવાનું ડિકલેરેશન અપાયુ હતું. પરંતુ બાતમી મળી હતી કે, ચોખાની જગ્યાએ કિંમતી વસ્તુ દુબઈ લઈ જવાઈ રહી છે. ત્યારે ડીઆરઆઈની ટીમે તપાસ કરતા મોટો પર્દાફાશ થયો હતો. ચોખાની બોરીઓ વચ્ચે રક્ત ચંદનના ટિમ્બર લોગ્સ છુપાવાયા હતા. જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ડીઆઈરઆઈની ટીમે તમામ ચોખાની બોરીઓમાં મોડી રાત સુધી તપાસ ચાલાવી હતી. જેમાં કુલ 177 રક્ત ચંદનના લોગ્સ મળી આવ્યા હતા. જેનુ વજન 5.4 ટન હતું. આ રક્ત ચંદનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 3 કરોડ જેટલી થાય છે.
ડીઆરઆઈની ટીમે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, આ કન્ટેનર લુધિયાણાથી દુબઈ જવાનુ હતું. રેલવે માર્ગથી કન્ટેનર મુન્દ્રા પોર્ટ આવ્યુ હતું, જે આગળ દુબઈ લઈ જવાનુ હતું. આમ, રક્ત ચંદનની કરોડોની દાણચોરીનો પર્દાફાશ થયો છે.
ગુજરાત પોલીસે ચંદનના લાકડાંની ચોરીનું અન્ય એક રેકેટ પણ પકડી પાડ્યુ હતું. સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડાં વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગમાંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ખેડૂતને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો.