ઈ-કોમર્સ કંપનીઓની મનમાની સામે CAIT આક્રમક: વેપારીઓના રક્ષણ માટે કડક કાર્યવાહીની માંગ
તિરુવનંતપુરમ, 6 એપ્રિલ 2026: કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કેટલીક ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ કંપનીઓની કથિત અયોગ્ય વ્યાપારી પ્રથાઓ સામે કેન્દ્ર સરકારને તાત્કાલિક અને કડક પગલાં લેવા હાકલ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે આ કંપનીઓની ગતિવિધિઓ ભારતના પરંપરાગત છૂટક વેપાર તંત્રને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં વેપારી સંગઠને ખાસ કરીને વિદેશી રોકાણ ધરાવતી કંપનીઓના અનિયંત્રિત બિઝનેસ મોડલ અંગે વધતી જતી ચિંતાઓ વ્યક્ત કરી છે.
CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ તથા સાંસદ પ્રવીણ ખંડેલવાલે એક સંયુક્ત નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, બજાર બગાડતી ઓછી કિંમતો, ભારે ડિસ્કાઉન્ટ, ડાર્ક પેટર્ન અને માર્કેટપ્લેસ મોડલ હેઠળ પરોક્ષ ઇન્વેન્ટરી કંટ્રોલ જેવી પ્રથાઓ સ્પર્ધા વિરોધી છે. તેમણે પસંદગીના વિક્રેતાઓને અપાતા પ્રાધાન્ય અને ‘ડાર્ક સ્ટોર્સ’ના આક્રમક વિસ્તરણને નાના અને મધ્યમ વેપારીઓ માટે મોટો ખતરો ગણાવ્યો છે.
સંગઠને ઉલ્લેખ કર્યો છે કે દેશના 9 કરોડથી વધુ વેપારીઓ ભારતની સપ્લાય ચેઈન અને રોજગાર ક્ષેત્રની કરોડરજ્જુ છે. CAIT ના નેતાઓએ જણાવ્યું હતું કે, “આવી પ્રથાઓને અનિયંત્રિત રીતે ચાલુ રાખવા દેવાથી ભારતની આર્થિક સાર્વભૌમત્વ નબળી પડી શકે છે.” તેમણે ઓફલાઇન અને ઓનલાઇન વેપાર વચ્ચે ‘સમાન તક’ પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
- CAIT ની મુખ્ય માંગણીઓ
અયોગ્ય વ્યાપારી પ્રથાઓ પર અંકુશ લાવવા માટે રાષ્ટ્રીય ઈ-કોમર્સ નીતિને તાત્કાલિક અંતિમ ઓપ આપી અમલી બનાવવી જોઈએ. ઘરેલું વ્યવસાયોની રક્ષા માટે મજબૂત અમલીકરણ તંત્ર અને કડક કાયદાકીય જોગવાઈઓ કરવી જોઈએ. એક રાષ્ટ્રીય રિટેલ વિકાસ પરિષદની રચના કરવી, જેમાં નીતિ નિર્ધારણમાં વેપારી સમુદાયનું ઔપચારિક પ્રતિનિધિત્વ હોય.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, વેપાર નીતિઓ બનાવતી વખતે વેપારીઓની સહભાગીદારી અત્યંત મહત્વની છે. મજબૂત અને સ્થિતિસ્થાપક ભારતીય અર્થતંત્ર માટે છૂટક વેપાર ક્ષેત્રનું સશક્ત હોવું અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ યુપી આતંકી કેસઃ બિજનૌરમાં AK-47ને રમકડું ગણાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સસ્પેન્ડ


