- ગુજરાતમાં 2,841થી વધુ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા,
- પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની ઝુબેશમાં 2.32 લાખથી વધુ સ્વયંસેવકો જોડાયા,
- પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પખવાડિયા સુધી જાગૃતિ અભિયાન ચલાવાયું
ગાંધીનગરઃ ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-2025” અભિયાનનો ગત તા. 22 મેથી પ્રારંભ થયો છે, જે તા. 5 જૂન સુધી યોજાશે. આ અભિયાનમાં સક્રિયતાપૂર્વક ભાગ લઇ ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મજબૂત આગેવાની લીધી છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં 2,841થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના 2,32,064થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ 14,505 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનમાં જન ભાગીદારી અને ઉદ્યોગોની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ પૂર્વ થઇ રહી છે.
રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં સાફ-સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, દરિયાકાંઠાની સફાઈ, ઇ-બાઈક રેલી, શેરી નાટકો, કાપડની થેલીઓનું વિતરણ, સેમિનાર અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે અમલીકરણ પગલાં જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને મિશન લાઇફ પ્રતિજ્ઞા પર સેમિનાર એ દરેક સત્રનો અભિન્ન ભાગ હતો.
સમાજના દરેક વર્ગના લોકો આ અભિયાનમાં પૂરા મનથી જોડાયા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ક્લાયમેટ ચેન્જ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ ઉદ્યોગ તથા ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પર્યાવરણીય મહાયજ્ઞમાં રાજ્યની પ્રાદેશિક કક્ષાની કચેરીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ઉદ્યોગો તથા સંસ્થાઓ પણ સહભાગી થઇ હતી.
આ ઝુંબેશની પહોંચ વધારવા માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટરો, હોર્ડિંગ્સ અને બેનરો સાથે સમગ્ર ગુજરાતમાં 15 દિવસનું રેડિયો જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 14,505 ટનથી વધુ પ્લાસ્ટિક કચરાનો નિકાલ, લાખો લોકો સુધી પહોંચેલો જન જાગૃતિનો સંદેશ, અને હજારો નવા રોપાયેલા વૃક્ષો – ગુજરાતની પર્યાવરણ ગાથામાં એક સુવર્ણ પ્રકરણ લખી રહ્યા છે. ગુજરાતનો દરેક નાગરિક પર્યાવરણને બચાવવાના યુદ્ધમાં એક સૈનિક બની રહ્યો છે. આ એક પરિવર્તનની લહેર છે. જેમાં ગુજરાતે ખરા અર્થમાં એક ‘ગ્રીન લીડર’ તરીકે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. રાજ્ય સરકારની પહેલ, આટલા કાર્યક્રમો પુરતી નથી પણ એક લાંબા સફરની શરૂઆત છે. આ સફર નિરંતર શરુ રેહશે જેમાં આવનારી પેઢીઓ પણ ભાગલઇ અને પ્રેરણા લેશે.