બિન સચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટના ઉમેદવારોને કાલે CMના હસ્તે નિમણૂંકપત્રો અપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદગી પામેલા સિલેક્ટ ઉમેદવારોને આવતી કાલે તારીખ 06/03/2023ને સોમવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા ઉમેદવારોએ તારીખ 06/03/2023ને સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરનાં 01:00 કલાક સુધીમાં હાજર થવાનું રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેવી પરીક્ષામાં ઉતિર્ણ થઈને બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારોમાંથી સિલેક્ટ ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાલે સોમવારે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. નોકરી માટે પસંદ થયેલા સિલેક્ટ ઉમેદવારોએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બપોરે 1 વાગ્યા સુધીમાં હાજર થવાનું રહેશે. મહાત્મા મંદિર ખાતે ઉમેદવારો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બહારગામથી આવતા ઉમેદવારો માટે પથિકાશ્રમ એસ. ટી. ડેપો, ગાંધીનગરથી મહાત્મા મંદિર આવવા માટે એસ. ટી. ડેપોના કંટ્રોલરૂમ પાસેથી નિશુલ્ક એસ. ટી. બસની પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. એસ. ટી. બસ સર્વિસ બપોરે 12:30 કલાકથી શરૂ કરવામાં આવશે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર વહેંચણીના કાર્યક્રમમાં આયોજન અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે. કે, દરેક ઉમેદવાર ફરજીયાત પણે પોતાનું એક અસલ ઓળખકાર્ડ અને ભલામણપત્ર સાથે રાખે. તેમજ
નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં ઉમેદવારની સાથે કોઈ એક વાલી કાર્યક્રમમાં જોડાઈ શકે છે. જે ઉમેદવારો શારીરિક અશકતા ધરાવે છે તેવા ઉમેદવારો સાથે વધુમાં વધુ બે સંબંધી જોડાઈ શકે છે. ઉમેદવારે પોતાનું અસલ ઓળખ કાર્ડ અને મંડળ તરફથી આપવામાં આવેલો ભલામણ પત્ર સાથે રાખવા ફરજિયાત છે.